September 29, 2024

ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન સોમનાથમાં, 302 એકર જમીન ખુલ્લી કરી

ગીર સોમનાથઃ સોમનાથમાં અત્યાર સુધીની સૌથી મોટું ડિમોલિશન કરવામાં આવ્યું છે. ત્યારે 9 ધાર્મિક દબાણ એકસાથે તોડી પાડવામાં આવ્યા છે. અન્ય ત્રણ ધાર્મિક સ્થળો, 45 નાના-મોટા પાક્કા મકાનો પણ તોડી પાડવામાં આવ્યા છે. કુલ 320 કરોડની 102 એકર જમીન ખુલ્લી કરવામાં આવી છે.

આ સ્થળે ભારતીય ન્યાય સંહિતા મુજબ કલમ 223 લાગુ કરી ચાર વ્યક્તિઓનાં એકઠાં થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડિમોલિશન વહીવટી રેવન્યૂ, વીજ, પીડબ્લ્યુડી સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ અને સ્ટાફને પણ સ્થળ ઉપર તહેનાત કરવામાં આવ્યા છે.

સોમનાથ અને તેની આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા વહેલી સવારે 5 વાગ્યાથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગેરકાયદેસર વસાહતો-મકાનોને ધ્વસ્ત કરવામાં આવી રહ્યા હતા. આ કામગીરી માટે તંત્ર દ્વારા 36થી વધુ જેસીબી, 50થી વધુ ટ્રેક્ટર ઉપયોગમાં લેવાયાં છે. ત્યાં જ ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને માટે 1600થી વધુ પોલિસ જવાનોને તૈનાત કર્યા હતા. આ મેગા ડિમોલિશન દરમિયાન જિલ્લા કલેક્ટર, IG, 3 SP, 6 DYSP નો કાફલો હાજર છે. ત્યાં જ 50 PI–PSI, 1200 જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત તૈનાત કરી દેવાયા છે. તમને જણાવી દઈએ કે, ગત મોડી રાતથી તંત્ર દ્વારા ડિમોલેશનની તૈયારી હાથ ધરવામાં આવી હતી. જોકે તંત્રની તૈયારીને લઈ હજારોની સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા હતા.

આજે વહેલી સવારે 05 વાગ્યે તંત્ર એ સોમનાથ અને તેની આસપાસના વિસ્તારમાં ડીમોલેશન શરૂ કર્યું હતું. જેમાં 05 હિટાચી મશીન, 30 જેસીબી, 50 ટ્રેકટર, 10 ડમ્પરથી કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં એક ધાર્મિક સ્થળ પર થી 70 જેટલા લોકોની અટકાયત પણ કરાઈ છે. ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં આ સૌથી મોટું ડિમોલિશન છે. પોલીસ દ્વારા પણ સાવચેતીના પગલા તરીકે ડિમોલિશન સ્થળ પર લોકોના જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સોમનાથ સર્કલ અને ભીડીયા સર્કલ પરથી અવરજવર બંધ કરાઈ છે.