નડિયાદમાં સોડા પીવાથી ત્રણ લોકોનાં મોતનો મામલો, પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

નડિયાદઃ શહેરના જવાહરનગર વિસ્તારમાં સોડા પીતા ત્રણ લોકોનાં મોત નીપજ્યા હતા. આ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. મૃતકના પડોશમાં રહેતા વ્યક્તિએ હત્યા કરી હોવાની આશંકા સામે આવી છે. ત્યારે પોલીસે આ મામલે પાડોશીની અટકાયત કરી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે.
નડિયાદમાં 9 ફેબ્રુઆરીના રોજ ત્રણ લોકોના જીરા સોડા પીવાથી મોત થયા હતા. ત્યારે આ સમગ્ર બાબતે પોલીસે વિશેરા તેમજ બોટલના સેમ્પલ લઈ FSLમાં મોકલ્યા હતા. આ જીરા સોડામાં સોડિયમ નાઈટ્રાઈટ પોઈઝન હોવાનું સામે આવ્યું છે.
પોલીસ દ્વારા સમગ્ર બાબતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલ એલસીબી પોલીસ તપાસ કરી રહી છે. આ ત્રણ લોકોના મોત અંગે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી હતી.
પોલીસે ખુલાસો કરતા જણાવ્યુ હતુ કે, મૃતક કનુભાઈ ચૌહાણના પાડોશમાં રહેતા હરીકિશન ઉર્ફે હરિ ચંદુભાઈ મકવાણાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આરોપી હરીકિશન ખેડા જિલ્લાના મહુધા તાલુકાની સણાલી પ્રાથમિક શાળામાં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ મામલે હરીકિશન સામે પાટણ પોલીસ મથકે તાજેતરમાં હનીટ્રેપનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો.
હરીકિશનને પોલીસ પકડશે અને આબરૂ જશે તે બીકે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. આત્મહત્યા કરતા પહેલાં અખતરા માટે તેને વિકલાંગ કનુભાઈ ચૌહાણને સોડામાં ભેળવી સોડિયમ નાઈટ્રાઈટ ભેળવીને આપ્યું હતું. આરોપી શિક્ષકે સોડિયમ નાઈટ્રાઈટ એમેઝોન પરથી મંગાવ્યું હતું. આ સમગ્ર મામલે જિલ્લા વડા રાજેશ ગઢીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી.