કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન તૂટ્યું, વિસાવદર-કડી પેટાચૂંટણી મામલે શક્તિસિંહની મોટી જાહેરાત

અમદાવાદઃ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. કોંગ્રેસ કડી અને વિસાવદર બેઠક પર ઉમેદવાર ઉતારશે. AAPએ વિસાવદરથી ગોપાલ ઈટાલીયાને ઉમેદવાર જાહેર કર્યો છે. તે સમયે ગોપાલ ઈટાલીયાએ બંને પક્ષ વચ્ચે સમજૂતીની વાત કરી હતી.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ મામલે કહ્યુ હતુ કે, કોંગ્રસની PAC બેઠકમાં સર્વસંમતિથી આ મામલે નિર્ણય લેવામાં આવ્યો હતો. પેટાચૂંટણીમાં કોંગ્રેસ આપ સાથે ગઠબંધન નહીં કરે. વિસાવદર અને કડીની પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ઉભો રાખશે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે વાત કર્યા વિના ઉમેદવાર જાહેર કર્યો હતો. ગુજરાતીઓ ક્યારેય ત્રીજા પક્ષને સ્વીકારતા નથી. ગુજરાતમાં કોંગ્રેસ જ મુખ્ય વિપક્ષ છે.
તેમણે ઉમેર્યું હતું કે, હરિયાણામાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઊભા રાખીને કોંગ્રેસને નુકસાન કર્યું હતું. રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધનના કારણે લોકસભામાં ભરૂચ અને ભાવનગરની બેઠક આપને આપી હતી. વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ હવા ઊભી કરી કોંગ્રેસના મત તોડ્યા હતા.’