September 12, 2024

અમદાવાદમાં CAA અંતર્ગત અમિત શાહના હસ્તે 188 લોકોને ભારતની નાગરિકતા અપાઈ

અમદાવાદ: આજે બપોરે 12.30 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે ભારતમાં આવેલા શરણાર્થી ભાઈઓ-બહેનોને CAA અંતર્ગત નાગરિકતા પ્રદાન કરી હતી. પડોશી દેશોમાંથી ધાર્મિક અત્યાચારને કારણે ભારતમાં આવેલા શરણાર્થી જેઓ દાયકાઓથી અન્યાયનો સામનો કરી રહ્યા હતા, તેઓને મોદી સરકારે CAA અંતર્ગત નાગરિકતા આપી છે જેથી તેઓ સન્માન સાથે પોતાનું જીવન વહન કરી શકે. અમદાવાદમાં આજે 188 લોકોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યું છે. જેની જાણકારી અમિત શાહે પોતે આપી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની સ્પીચમાં કહ્યું કે, આજે 188 લોકો ભારતના પરિવારનાં સભ્યો બન્યા છે તે મારાં માટે ભાવુક ક્ષણ છે. CAA દેશમાં વસતા શરણાર્થીઓને ન્યાય આપવાની વાત છે. 1947-2014 સુધીમાં જે લોકો દેશના શરણમાં આવ્યા પરંતુ તેમને અધિકાર ન મળ્યો. લાખો, કરોડો લોકો 3-3 પેઢીથી ન્યાય મળ્યો નથી. તેમને ઇન્ડી સરકારે ન્યાય ન આપ્યો પરંતુ મોદીએ તમામને ન્યાય આપ્યો છે. ધર્મનાં આધાર પર વિભાજન ન થવું જોઈએ. ભારતનું વિભાજન ધર્મના આધારે કરવામાં આવ્યું હતું. તે વિભાજન સમયે તોફાનો થયા હતા અને અનેક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. તે સમયગાળા દરમિયાન કરોડોપતિઓ શાકભાજી વેચવા મજબૂર બની ગયા હતા.1947માં કરેલ વાયદાઓ નેહરુ ભુલી ગયા પરંતુ મોદીની ગેરંટી ભૂલાતી નથી.

વિભાજને અનેક લોકોને પોતાના અધિકારોથી વંચિત રાખ્યા હતા. તે સમયે મહિલાઓ સાથે અન્યાય થયો હતો. એકબાજુ અનેક લોકોને ભારતમાં ઘુસાડ્યા અને તેમને નાગરિકત્વ આપ્યું પરંતુ જે લોકો ખરેખરમાંમ હકદાર હતા તેમની માટે કોઈ જોગવાઈ નથી તેમ કરીને અધિકાર ન આપ્યા. અમે ચૂંટણીમાં કરેલ CAAનો કરેલ વાયદો પૂર્ણ કર્યો છે. કોંગ્રસે લઘુમતીઓને ઉશ્કેરીને દંગા કરાવ્યા છે. આ કાયદાથી કોઈની નાગરિકતા લેવાની નથી, તમામને લાભ મળશે. કોઈનો કામ ધંધો છીનવાઈ જવાનો નથી. તમામને અપીલ કરું છું કે જે લોકો તમને ગુમરાહ કરે તો વાત માનતા નહીં. જે લોકો અન્ય દેશમાં પીડિત થઈને ભારતમાં શરણ મેળવે છે તેમને નરેન્દ્ર મોદી સરકાર ન્યાય આપે છે. મોદીએ દેશની જનતાને કહ્યું હતું કે આ દેશની જનતા પરિવારવાદ, ભ્રષ્ટાચાર, જાતિવાદ અને નાસૂરવાદથી પીડિત છે. દસ વર્ષમાં મોદીએ આ બદીઓ દૂર કરી અને દેશ પ્રગતિનાં પંથે પહોંચાડ્યો છે.રામ મંદિર, ત્રિપલ તલાક, પાવાગઢમાં ધજા અને 370 માટે મોદી સરકારે કામ કર્યું. લોકોને અપીલ કરું છું કે ઇન્ડી એલાયાંસ પર વિશ્વાસ ન કરે. જે શરણાર્થીઓ છે તે ડર્યા વિના અરજી કરે તેમને નાગરિકતા મળશે.