July 1, 2024

રાજ્યમાં આજથી TD-DPT રસીકરણ અભિયાનનો પ્રારંભ, 23 લાખ બાળકોને અપાશે રસી

મલ્હાર વોરા (ગાંધીનગર): રાજ્યના આરોગ્ય મંત્રીએ આજે ગાંધીનગર ખાતેથી TD (ટિટનસ, ડિપ્થેરીયા) અને DPT (ત્રિગુણી) રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. અભિયાન હેઠળ જુન જુલાઇ અને ઓગષ્ટ દરમિયાન રાજ્યના અંદાજીત 23 લાખ બાળકોનું રસીકરણ કરાશે, જેમાં બાળકોને ધનૂર અને ડિપ્થેરીયા સહિતના 11 પ્રકારના ઘાતક રોગો સામે પ્રતિરોધક વેક્સીન અપાશે.

આજે ગાંધીનગર ખાતેથી રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા TD અને DPT જેવી ત્રિગુણી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો. રસીકરણનો પ્રારંભ કરાવતા તેમણે ધનૂર અને ડિપ્થેરીયા ઉપરાંત ઝેરી કમળો, બાળ ટી.બી., પોલીયો, ઓરી, રૂબેલા, ન્યુમોનિયા અને મગજના તાવ જેવા ઘાતક રોગો સામે પ્રતિરોધક આ રસીનો રાજ્યના મહત્તમ બાળકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ વર્ષે જુન, જુલાઇ અને ઓગષ્ટ મહિના દરમિયાન રાજ્યના અંદાજીત 23 લાખ બાળકોને ઉપરોક્ત રસીકરણ અભિયાન અંતર્ગત રોગ પ્રતિરોધક રસી આપવામાં આવશે. રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળામાં અભ્યાસ કરતા ઘોરણ 5 અને ઘોરણ 10 ના તમામ બાળકોને ધનૂર અને ડિપ્થેરીયા રોગ પ્રતિરોધક રસી આપવામાં આવશે.

આ ઉપરાંત રાજ્યના આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે બાળવાટિકાઓમાં 5 વર્ષ પૂર્ણ થયેલ તમામ બાળકોનું DPT બુસ્ટરના બીજા ડોઝથી રસીકરણ કરીને ત્રણ રોગો સામે રક્ષણ પુરૂ પાડવામાં આવશે. આ રસીકરણ અભિયાન અંતર્ગત રાજ્યમાં 992 RBSK ટીમ દ્વારા રાજ્યની 49,183 શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજીત 23 લાખ બાળકોનું 14,783 ટીમ દ્વારા શાળાઓમાં રસીકરણ સેશન યોજીને રસી આપવામાં આવશે. તદ્ઉપરાંત અંદાજીત 36,628 બાળવાટીકાઓના 6,13,273 બાળકોનું કુલ 29,657 સેશન યોજીને DPT બુસ્ટરના બીજા ડોઝ આપવામાં આવશે. જો કોઇ બાળક આ સેશનમાં લાભાન્વિત થવાથી રહી જાય તો મમતા દિવસના સેશનમાં તેમને લાભ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રાજ્યમાં નિયત વયજૂથના કુલ 23.61 લાખ તરૂણોનુ સફળ રસીકરણ કરવામાં આવ્યું છે.