July 4, 2024

ચોમાસામાં સંભવિત આપત્તિનો સામનો કરવા AMC સજ્જ, 24×7 મોનસૂન કંટ્રોલરૂમ શરૂ કરાયા

અમદાવાદ: ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ચોમાસાની ઋતુ દરમ્યાન સંસ્કાર કેન્દ્ર, પાલડી ખાતે મોનસુન મુખ્ય કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં વોટ્સ એપ નંબરથી પણ ફરિયાદ નોંધાવી શકાશે. ચોમાસાની સીઝનમાં ભારે કે અતિભારે વરસાદ કે ભારે પવન તેમજ વાવાઝોડા સાથે વરસતા વરસાદના સંજોગોમાં ઝાડ પડવાના, રસ્તા બેસી જવાના, બ્રેક ડાઉન, ભયજનક મકાનો પડી જવાના, હોર્ડિંગ્સ પડી જવાના, નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવા જેવી સસ્યાઓના નિરાકરણ માટે મુખ્ય કંટ્રોલ રૂમ સહિત જુદા જુદા ઝોનમાં ઈજનેર, એસ.ટી.પી., બગીચા ખાતે તેમજ એસ્ટેટ વિભાગની ફરિયાદોના નિવારણ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાત ઝોનમાં ત્રણેય શીફ્ટમાં મોનસુન કંટ્રોલરૂમ ચાલુ કરવામા આવ્યો છે.

મુખ્ય કંટ્રોલરૂમ ખાતેથી જુદા જુદા ઝોનના 24 કંટ્રોલ રૂમો અને અન્ડરપાસોને વાયરલેસ સિસ્ટમ અને ઈન્ટરનેટ માધ્યમથી ડિજિટલી કનેકટ કરવામાં આવ્યાં છે, તેમજ વરસાદ માપવાના કુલ 27 અદ્યતન ઓટોમેટીક રેઈન ગેજ મુકીને સુસજ્જ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, તમામ કંટ્રોલરૂમ ઉપર સિનિયર કક્ષાના અનુભવી અને જાણકાર અધિકારીઓ મારફત કંટ્રોલરૂમની કામગીરીનું 24 કલાક મોનીટરીંગ કરી મહત્તમ ફરિયાદોનો નિકાલ થાય તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.

WhatsApp દ્વારા મોનસૂન સંબંધિત ફરિયાદો નોંધાવી શકાશે
ચોમાસા દરમ્યાન વરસાદને કારણે ઉદભવતી સમસ્યાઓનો ત્વરિત નિરાકરણ થઈ શકે તે માટે શહેરીજનો મોનસુન મુખ્ય કંટ્રોલરૂમ સહિત સાત ઝોનમાં શરુ કરવામાં આવેલ કંટ્રોલ રૂમમાં વ્હોટ્સઅપ WhatsApp સોશિયલ મીડિયાના માધ્યમથી મોનસૂન સંબંધિત ફરિયાદો નોંધાવી શકે છે. શહેરમાં આવેલ કુલ 21 અન્ડરપાસોમાં વરસાદી પાણીનો નિકાલ થઈ રહે તે માટે હેવી કેપેસીટીના પંપો મુકવામાં આવે છે. આસિવાય અનુભવી – નિષ્ણાંત સ્ટાફને વોકી ટોકી સાથે એપોઈન્ટ પણ કરવામાં આવી છે. શહેરમાં ભરાતા વરસાદી પાણીનો ત્વરિત અને યોગ્ય રીતે નિકાલ થઈ રહે તે માટે અમદાવાદ શહેરમાં કુલ 63735 કેચપીટોની સફાઈની કામગીરી પ્રગિતમાં છે. હાલમાં બીજા અને ત્રીજા રાઉન્ડની સફાઈ કરવાનું આયોજન કરવામાં આવે છે. કેચપીટ ની જાળીઓ/ગ્રેટીંગ પીળા કલરથી પેઇન્ટ, તમામ કેચપીટ ના પધ્ધતિ સર નંબરીંગ કરવામાં આવી છે.

વિવિધ ઝોનમાં 105 કિ.મી ડ્રેનેજ લાઈનોનું ડિસિલ્ટિંગ કરવામાં આવ્યું છે તથા જરૂરીયાત મુજબ ડીસીલ્ટીગની કામગીરી હાલમા કરવામા આવી રહી છે. સાબરમતી નદીમાં વરસાદી પાણીનાં નિકાલ માટે વેસ્ટમાં 23 અને પુર્વમાં 18 ડિસ્ચાર્જ પોઈન્ટ દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવશે તેવુ આયોજન કોર્પોરેશન દ્વારા કરવામા આવ્યુ છે. નીંચાણવાળા વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીનો ત્વરિત નિકાલ થાય તે માટે વાહન માઉન્ટેડ હેવી ડી- વોટરીંગ પમ્પો (વરૂણ પમ્પો), વાહન/ટ્રેઈલર માઉન્ડેટ પમ્પો (મઝદા પમ્પો), ટ્રોલી માઉન્ડેટ પમ્પો) ટ્રોલી પમ્પો ટેકનીકલી અનુભવી અને જાણકાર સ્ટાફ સાથે હાજર રાખવામાં આવે છે અને તાત્કાલિક ધોરણે ડિપ્લોયડ કરીને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે છે.

અમદાવાદ શહેરના 255 સ્થળોએ ઈન્સ્ટોલ કરવામાં આવેલ 2236 સ્માર્ટ સિટી કેમેરા (ANPR+RLVD) + (BRTS Lane કેમેરા (ANPR) કેમેરાઓ, 130 સ્થળોએ ઈન્સ્ટોલ કરવામાં આવેલ 130 ચાર રસ્તા જંકશન પરના કેમેરા PTZ કેમેરા, અંડર પાસના 18 સ્થળોએ ઈન્સ્ટોલ કરવામાં આવેલ 36 કેમેરાઓ એમ કુલ થઈ 403 સ્થળોના કુલ 2385 સી.સી.ટી.વી. કેમેરા દ્વારા કવરેજ મેળવી શકાય તેવી વ્યવસ્થા મુખ્ય કંટ્રોલરૂમ, પાલડી ખાતે કરવામા આવી છે જ્યાંથી હાલમાં મોનિટરિંગ શરૂ થઇ ચુક્યુ છે.

શહેરના અલગ અલગ ઝોન મુજબ વોટ્સએપ નંબરો

  • મુખ્ય કંટ્રોલરૂમ – 9978355303
  • મધ્ય ઝોન – 9724615846
  • પૂર્વ ઝોન – 9099063856
  • પશ્ચિમ ઝોન – 6359980916
  • ઉત્તર પશ્ચિમ ઝોન – 9726416113
  • દક્ષિણ પશ્ચિમ ઝોન – 6359980913
  • ઉત્તર ઝોન – 9726415552
  • દક્ષિણ ઝોન – 9099063239