September 19, 2024

પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન એક જ પરિવારના 4 લોકોના ડૂબી જતા મોત

ભાવેશ ભોજક, પાટણ: પાટણ સરસ્વતી નદીમાં ગઈકાલે બપોર બાદ ગણેશ વિસર્જન કરવા આવેલ એક જ પરિવારના માતા, બે પુત્ર અને મામા મળી કૂલ ચાર સભ્યોનું ડૂબવાથી મોત થતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ છે. તો પાણીમાં ડૂબનાર વ્યક્તિઓને બચાવવા પડેલા અન્ય બે વ્યક્તિઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. તેઓની તબિયત સુધારા ઉપર હોવાનું જાણવા મળ્યું છે, વહીવટી તંત્ર દ્વારા કલાકોની જહેમત બાદ ચારેય ડેડબોડીને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી.

પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારને ત્યાં ચોથના દિવસે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ પાચમાં દિવસે મૂર્તિનું ઉત્સ્થાપન કરી સરસ્વતી નદીમાં વિસર્જન માટે પરિવારના સભ્યો ગયા હતા. તે દરમિયાન નદીના પાણીમાં એક વ્યક્તિ ડૂબતા અન્ય લોકો પણ એક પછી એક બચાવવા માટે પડ્યા હતા તો વિસર્જન માટે આવેલા અન્ય વ્યક્તિઓ પણ બચાવ કામગીરીમાં લાગ્યા હતા. જેમાં ટોટલ સાત વ્યક્તિઓ ડૂબતા અફરતફડી પડી મચી હતી. જેમાંથી ત્રણ વ્યક્તિઓને બહાર કાઢી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: મોદી સરકારની મોટી જાહેરાત: 70 વર્ષથી વધુ વયના નાગરિકોને રૂ.5 લાખ સુધીની મફત સારવાર

ઘટનાની જાણ થતા જિલ્લા કલેકટર પ્રાંત અધિકારી, નગરપાલિકાના પ્રમુખ ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તરવૈયાઓની મદદથી પાણીમાં ડૂબેલા વ્યક્તિઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા પાંચ જેસીબી, 10 ટેકટર, એક જનરેટરની મદદથી ચારે બાજુ લાઇટિંગની વ્યવસ્થા કરી શોધખોળ હાથ ધરી હતી. જેમાં અંતે સિદ્ધપુરના દેથળી ખાતેથી સ્થાનિક તરવૈયાઓની ટીમ બોલાવવામાં આવી હતી અને તેઓ દ્વારા ત્રણેય મૃતકોની લાશને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી.

એક જ પરિવારમાંથી માતા બે પુત્ર અને સગા મામાના મોતને લઈને પરિવાર સહિત સમગ્ર પ્રજાપતિ સમાજમાં શોપની કાલીમાં છવાઈ છે.

મૃતકોના નામ
1. શીતલબેન નીતીશભાઈ પ્રજાપતિ (ઉ.વ. 36) માતા
2. દક્ષ નિતીશ પ્રજાપતિ (ઉ.વ 22) પુત્ર
3. જીમિત નીતીશભાઈ (ઉ.વ 21) પુત્ર
4. નયન રમેશ ભાઈ પ્રજાપતિ મામા