September 19, 2024

રાજ્યની સરકારી ઈમારતો પર વર્ષ 2024-25માં 48 MWની સોલાર રૂફટોપ સિસ્ટમ નંખાશે

ગાંધીનગર: પરંપરાગત ઇંધણ પરથી ભારણ હટાવીને વર્ષ 2030 સુધીમાં ભારતની 50 ટકા વીજળી આપૂર્તિ વિવિધ પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત દ્વારા થાય, તે હેતુથી PM નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ પહેલ હાથ ધરવામાં આવી છે. વર્ષ 2015માં COP21-પેરિસ ખાતે PM નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ સંયુક્ત રીતે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) લૉન્ચ કર્યું હતું. 121 દેશોમાં સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે આ આંતરરાષ્ટ્રીય સહયોગ કરવામાં આવ્યો છે. ભારતમાં ઉજાલા યોજના, નેશનલ સોલાર મિશન, સ્વચ્છ ભારત અભિયાન તેમજ ગ્રીન ગ્રોથને લગતા વિવિધ નિર્ણયો પર્યાવરણને અનુકૂળ વિકાસ તરફ ભારતની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરે છે. ભારતના આ સંયુક્ત ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત એક અગ્રેસર ભૂમિકા નિભાવી રહ્યું છે. આ દિશામાં આગળ વધતા, રાજ્યની વિવિધ સરકારી ઈમારતો પર વર્ષ 2024-25માં 48 મેગાવોટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે, જેના માટે ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા રૂ. 177.4 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

56.8 મેગાવોટ ક્ષમતાની 3 હજારથી વધુ સોલાર રૂફટોપ સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં અંદાજે 36 ગીગાવોટથી વધુ સૌર ઊર્જાની ઉપલબ્ધતા સંભવિત છે. તેનો મહત્તમ ઉપયોગ થાય તે હેતુથી રાજ્ય સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા રાજ્ય સરકારની વિવિધ સરકારી વિભાગોની ઈમારતો પર સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત માર્ચ 2024 સુધીમાં, રાજ્યની વિવિધ સરકારી વિભાગોની ઈમારતો પર 56.8 મેગાવોટ ક્ષમતાની 3023 સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે.

વર્ષ 2024-25માં 48 મેગાવોટ ક્ષમતાની સિસ્ટમ સ્થાપિત થશે
આ યોજનાને આગળ લઇ જવા માટે આ વર્ષે રાજ્યની વિવિધ સરકારી ઈમારતો પર 48 મેગાવોટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. તેના માટે રાજ્ય સરકાર દ્વારા ₹ 177.4 કરોડની રકમની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો: મમતા સરકારને વધુ એક ઝટકો, TMCના સાંસદ જવાહર સરકારે આપ્યું રાજીનામું

ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા : 2023-24માં 24765.3 MU ઉત્પાદન
પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે, ખાસ કરીને સૌર અને પવન ઉર્જા ક્ષેત્રે ગુજરાત એક અગ્રેસર રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. સોલાર પાર્કનું નિર્માણ અને રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનને ઘરો સુધી પહોંચાડીને, રાજ્યની મબલખ સૌર ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચારણકા સોલાર પાર્ક જેવા પ્રોજેક્ટની સફળતાએ ગુજરાતને ભારતમાં સૌર ઉર્જા ઉત્પાદનમાં મોખરે પહોંચાડ્યું છે. વધુમાં, દરિયાકાંઠે આવેલા વિન્ડ ફાર્મ્સે રાજ્યની પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વર્ષ 2023-24ના છેલ્લા આંકડા અનુસાર ગુજરાતમાં કુલ 24765.3 મિલિયન યુનિટ ઉત્પાદન થયું છે. જેમાં 9637 MU સોલાર, 14201 MU પવન, 885.325 MU હાઇડ્રો, 69 સ્મોલ હાઇડ્રો અને 42 MU બાયોમાસ અને બગાસ છે.

વિશ્વભરમાં ઊર્જાના વપરાશમાં સૌથી વધુ ઉપયોગ અશ્મિભૂત ઇંધણનો થતો હોય છે, પરંતુ આ ઇંધણ ફક્ત નિશ્ચિત સમયમર્યાદા માટે જ ઉપલબ્ધ છે અને પર્યાવરણ પર પણ તેની અનેક ગંભીર અસરો થતી જોવા મળે છે. સ્વચ્છ પર્યાવરણનું નિર્માણ કરીને ભાવિ પેઢી માટે એક બહેતર ભવિષ્યની કેડી કંડારવી ખૂબ જરૂરી છે. ગુજરાતે આ વાત બરાબર સમજીને આત્મસાત કરી છે અને રાજ્યએ સોલાર પ્રોજેક્ટ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને દમદાર રીતે અમલમાં મૂક્યા છે. સૂર્યની શક્તિને મહત્વની ઊર્જાશક્તિ તરીકે વિકસાવીને નાગરિકોની ઊર્જા આવશ્યકતા, પર્યાવરણીય સમતુલા અને આર્થિક વિકાસ, આ ત્રણેય પાસાને એકબીજા સાથે સાંકળીને ગુજરાતે વિકાસની કેડી કંડારી છે.