October 11, 2024

પાલનપુરમાં રાવણ દહન માટેના પૂતળા બનાવે છે મથુરાના મુસ્લિમ ભાઈઓ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: દશેરાના દિવસે સમગ્ર દેશમાં રાવણ રૂપી પૂતળા દહન કરવામાં આવે છે. જોકે આ રાવણનું પૂતળું બનાવવા માટે સ્પેશિયલ કારીગરો હોય છે તે અન્ય રાજ્યોમાંથી આવે છે અને જે મુસ્લિમ સમાજના કારીગરો હોય છે. કોઈકે બહુ જ સરસ કહ્યું છે કે “મજહબ નહીં સિખાતા આપસ મે બેર રખના, હિન્દી હે હમ હિન્દુસ્તાન હમારા” અને કંઈક આવા જ દ્રશ્યો પાલનપુરમાં જોવા મળી રહ્યા છે કારણ કે પાલનપુરમાં છેલ્લા 25 વર્ષથી ઉત્તર પ્રદેશના મથુરાથી આવી મુસ્લિમ પરિવારના 12 સભ્યો દશેરામાં દહન કરવા માટે રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા બનાવવાની કામગીરી કરે છે. તેમની અદભુત કલાકારીથી ખુશ થઈ પાલનપુર રામસેવા સમિતિ દ્વારા છેલ્લા 25 વર્ષથી મથુરાના આ મુસ્લિમ પરિવારને જ આ કામગીરી સોંપવામાં આવે છે.

મથુરાથી મુસ્લિમ પરિવારના 12 સભ્યો દર વર્ષે નવરાત્રી પહેલા પાલનપુર આવી જાય છે અને 35 થી 40 દિવસ પાલનપુરમાં જ રોકાઈ રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા બનાવવાની કલા-કારીગરી કરે છે ઉત્તર પ્રદેશથી પાલનપુરમાં આવતા આ મુસ્લિમ પરિવાર પોતાની બહેન દીકરી અને પત્ની સાથે પાલનપુર આવે છે. છતાં તેમને પણ કોઈ જ પ્રકારનો ભય, ડર કે કોઈ સંકોચ થતો નથી. કારણ કે, છેલ્લા ઘણા વર્ષોથી આવતા આ મુસ્લિમ પરિવાર અને રામ સેવા સમિતિ અને વચ્ચે વિશ્વાસ અને સુરક્ષાના સંબંધો બંધાયા છે. અહીંયા રોકાતા મુસ્લિમ મહિલા સભ્યો સહિત તમામને જરૂરી સગવડો પણ રામ સેવા સમિતિ જ પૂરી પાડે છે.

પાલનપુરમાં રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા બનાવવાની જવાબદારી લેનારા સુલેમાન ભાઈ ના દાદા પણ પાલનપુરમાં આવીને કામગીરી કરતા હતા. ત્યારે, હવે સુલેમાનભાઈ અને તેમના દીકરાઓ દ્વારા પણ આ કામગીરી કરવામાં આવી રહી છે. આ કલા કારીગરીમાં મુસ્લિમ પરિવારના સભ્યો દ્વારા 35 થી 40 દિવસમાં 61 ફૂટનો રાવણ અને 51- 51 ફૂટના મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા તૈયાર કરવામાં આવે છે.

આ ત્રણેય પૂતળા બનાવવામાં આશરે 200 વાસ, 100 કિલો મેંદો, 300 કિલો પેપર, 50 કિલો રંગીન પેપર, 50 કિલો સુતળી, 50 કિલો દોરો અને 100 જેટલી સાડીના કપડાની જરૂર પડે છે. જોકે રામ સેવા સમિતિ દ્વારા પાલનપુરમાં આવીને કામગીરી કરનારા આ મુસ્લિમ પરિવારને તમામ પ્રકારની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે તેમને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવે છે.

આ ભારત દેશ છે જ્યાં હજુ ઈદ હોય કે દિવાળી રમજાન હોય કે શ્રાવણ માસ હજુ પણ ભાઈ ચાર ની ભાવના જીવંત છે..જ્યાં સુધી માનવતા ધર્મ છે ત્યાં સુધી આવા મુસ્લિમ અને હિન્દુ સેવા સમિતિના લોકો દિલથી એક બની તમામ નાતી જાતિ અને ધર્મના વાડા તોડી માત્ર માનવતાનો ધર્મ નિભાવશે ત્યાં સુધી આપણા ભારત દેશની એકતા હંમેશા જળવાઈ રહેશે અને ભાઈચારોનો નાતો ક્યારેય નહીં તૂટે અને આ રિતે જ મુસ્લિમ પરિવાર રાવણ બનાવશે અને હિન્દુ સમાજના લોકો તેનું દહન કરી દશેરાનો તહેવાર ઉજવાતા રહેશે.