October 17, 2024

રેલવે રિઝર્વેશનને લઇને મોટા સમાચાર, હવે 60 દિવસ પહેલા જ ખુલશે એડવાન્સ રિઝર્વેશન વિન્ડો

Indian Railway New Rules: ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે 120 દિવસની જગ્યાએ તમે 60 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી શકશો. તેનાથી લોકોને એડવાન્સમાં ટિકિટ બુક કરાવવા માટે ઓછો સમય મળશે. રેલવેએ આ નોટિફિકેશનમાં કહ્યું છે કે 1 નવેમ્બર, 2024થી ટ્રેનોમાં એડવાન્સ રિઝર્વેશન માટેની વર્તમાન સમય મર્યાદા 120 દિવસથી ઘટાડીને 60 દિવસ (યાત્રાની તારીખ સિવાય) કરવામાં આવશે. જો કે, 31 ઓક્ટોબર, 2024 સુધી 120 દિવસની ARP હેઠળ કરાયેલી તમામ બુકિંગ અકબંધ રહેશે. નવો નિયમ નવેમ્બરથી કરાયેલા બુકિંગ પર લાગુ થશે.

તાજ જેવી ટ્રેનોને નિયમો લાગુ પડતા નથી
રેલ્વેએ એમ પણ કહ્યું છે કે તાજની જેમ દિવસના અમુક કલાકો પર દોડતી એક્સપ્રેસ ટ્રેનોના કિસ્સામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. એક્સપ્રેસ, ગોમતી એક્સપ્રેસ વગેરેમાં એડવાન્સ રિઝર્વેશન માટેની સમય મર્યાદા ઓછી છે. આ સિવાય વિદેશી પ્રવાસીઓ માટે 365 દિવસની મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

અત્યાર સુધી લોકોને 120 દિવસ પહેલા ટિકિટ બુક કરવાની તક મળતી હતી. જેના કારણે સમયસર ટીકીટ બુક થઇ શકી હતી અને વેઇટિંગ ટીકીટ કન્ફર્મ થવા માટે પુરતો સમય મળતો હતો પરંતુ 60 દિવસની સમય મર્યાદાને કારણે અચાનક બુકીંગ માટે ધસારો જોવા મળશે. વેઇટિંગ ટિકિટ માટે કન્ફર્મ થવાની શક્યતાઓ પણ ઓછી હશે. પૂર્વાંચલ અને બિહારના રૂટ પર રિઝર્વેશન ચાર મહિના અગાઉથી થઈ જાય છે.

રેલવે દલાલો સામે પણ સતત કાર્યવાહી કરી રહી છે
ટિકિટ બુકિંગને સરળ બનાવવા અને દરેકને ટિકિટ મળી રહે તે માટે રેલવે દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર રીતે ટિકિટ બુક કરાવનારાઓ સામે રેલવે પણ સતત અભિયાન ચલાવે છે. રેલવેનું ધ્યાન સુવિધાઓને વધુ સરળ બનાવવા પર છે.