October 19, 2024

ઈન્ડિગોના 5 વિમાનને બોમ્બથી ઉડાવવાની ધમકી, તાબડતોડ કરાવવામાં આવી ઈમરજન્સી લેન્ડિંગ

Delhi: એરલાઈન્સને બોમ્બની ધમકીના કોલ સતત વધી રહ્યા છે. ઈન્ડિગોના 5 વિમાનોને આજે ફરી બોમ્બની ધમકીના કોલ મળ્યા છે. તમામ વિમાનોનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી એરપોર્ટ પર અત્યાર સુધીમાં કુલ 3 ફ્લાઈટ્સ લેન્ડ થઈ છે. અત્યાર સુધીમાં બોમ્બની ધમકીના 7 કોલ આવ્યા છે. ઈન્ડિગોની 5 ફ્લાઈટને આ ધમકી આપવામાં આવી છે, જેમાં ઈન્ટરનેશનલ એરલાઈન્સનો સમાવેશ થાય છે.

તહેવારોની સિઝનમાં ફ્લાઈટમાં બોમ્બની ધમકી જેવા કોલ સામાન્ય બની ગયા છે. આવા સમાચારો દરરોજ બહાર આવી રહ્યા છે. સોમવારથી અત્યાર સુધીમાં 70થી વધુ ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી છે. આજે સવારે એર ઈન્ડિયા એક્સપ્રેસ અને વિસ્તારા એરલાઈન્સને પણ બોમ્બની ધમકી આપવામાં આવી છે.

ધમકી બાદ ફ્લાઈટ્સનું ઈમરજન્સી લેન્ડિંગ
DGCA તમામ કોલ પર સતત નજર રાખી રહ્યું છે. મંત્રાલયો અને વિભાગો વચ્ચે આંતરિક સંચાર અને વિગતોનું આદાન-પ્રદાન કરવામાં આવી રહ્યું છે. આજે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને બોમ્બની ધમકી આપવામાં આવી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX-196 દુબઈથી જયપુર જઈ રહી હતી. તેમાં 189 મુસાફરો સવાર હતા.

ફ્લાઈટ્સનું ઈમરજન્સી લેન્ડિંગ
ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી હતી. પ્લેન બપોરે 1:20 વાગ્યે જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. સુરક્ષા દળોએ ઝીણવટભરી તપાસ કરી પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. જો કે એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા આ અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. બોમ્બની ધમકી મળ્યા બાદ અત્યાર સુધીમાં કુલ 3 ફ્લાઈટ્સ દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, ગ્રેનેડની સાથે દબોચ્યા બે આતંકવાદી

દુર્ગા પૂજા હમણાં જ પૂરી થઈ છે અને હવે કરવા ચોથ આવી રહી છે. દિવાળી અને છઠ પૂજા પણ આવી રહી છે. આ દિવસોમાં મોટી સંખ્યામાં લોકો તેમના ઘરે પહોંચવા માટે ફ્લાઇટ્સ લઈ રહ્યા છે. આ દિવસોમાં એરપોર્ટ લોકોથી ભરેલા છે. તહેવારોની સિઝનમાં આવા ધમકીભર્યા કોલથી લોકોમાં ભયનો માહોલ સર્જાય છે. આખરે આ લોકો કોણ છે જેઓ આવી ધમકીઓ આપી રહ્યા છે અને શા માટે આવી ધમકીઓ આપી રહ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે.