October 23, 2024

જામનગરમાં રોગચાળો વકર્યો, સૌથી વધુ કેસ ડેન્ગ્યૂનાં

સંજય વાઘેલા, જામનગરઃ શિયાળો, ચોમાસું અને ઉનાળો ત્રણેય મોસમની અસર એકસાથે જોવા મળે છે. છેલ્લા કેલાટક દિવસોથી ગરમી વધી છે. આ સાથે વરસાદી ઝાપટાં પડે છે. બદલાતા વાતાવરણને કારણે રોગચાળો વધી રહ્યો છે. જામનગરની સરકારી જીજી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય રહી છે. કેસબારી, દવાબારી કે ઓપીડી તમામ જગ્યાએ લાંબી કતારો લાગે છે. સૌથી વધુ કેસ ડેન્ગ્યૂના નોંધાય છે.

જામનગરની સરકારી ગુરૂ ગોબિંદસિંહજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. સામાન્ય દિવસો કરતાં હાલ દર્દીઓની સંખ્યા બમણી થઈ છે. ખાસ કરીને તાવ, શરદી અને વાયરલ ઈન્ફેકશન દર્દીઓ વધુ નોંધાય છે. આ સાથે દૈનિક 700થી વધુ ઓપીડીમાં દર્દીઓ નોંધાય છે. ડેન્ગ્યૂના દૈનિક 25થી 30 કેસ નોંધાય છે. હજુ સુધી એકપણ મૃત્યુ નોંધાયા નથી. અત્યાર સુધીમાં 14 દિવસમાં 250 ડેગ્યુના કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે.

બદલતા વાતાવરણના કારણે રોગચાળો ફેલાયો છે. દર વર્ષે ચોમાસા બાદ મચ્છરજન્ય રોગના કેસ વધતા હોય છે. આ વખતે મિશ્ર વાતાવરણના કારણે મચ્છરજન્ય રોગ ફેલાય છે. જીજી હોસ્પિટલમાં લોબીમાં દર્દીઓની ભીડ જોવા મળે છે. કેસબારી, દવાબારીમાં કે ઓપોડીમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળે છે. ગરમી વચ્ચે હોસ્પીટલમાં લાંબી લાઈનમાં દર્દીઓ ઉભા રહેવા મજબુર બન્યા છે.