BJP પ્રતિનિધિમંડળ LGને મળ્યું; અમિત શાહના નિવાસસ્થાને નેતાઓની બેઠક યોજાઈ

Delhi Elaction: રાજધાની દિલ્હીમાં ભાજપનો 27 વર્ષનો વનવાસ સમાપ્ત થયો છે. ભાજપ રાજધાનીમાં પ્રચંડ બહુમતી સાથે પરત ફર્યું છે. દિલ્હીમાં છેલ્લા 10 વર્ષથી સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીનો કિલ્લો તૂટી ગયો છે. આ ચૂંટણીમાં ભાજપે 70માંથી 48 બેઠકો જીતી છે, જ્યારે બહુમતી માટે 36 બેઠકોની જરૂર હતી. હવે દિલ્હીની નજર મુખ્યમંત્રીના ચહેરા પર છે.
અમિત શાહના નિવાસસ્થાને ભાજપની બેઠક
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને પહોંચ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે ચર્ચા થઈ શકે છે. અમિત શાહના ઘરે બેઠકમાં જેપી નડ્ડા, બૈજયંત પાંડા સહિત ઘણા મોટા નેતાઓ હાજર હતા. સૂત્રો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના અમેરિકા પ્રવાસથી પાછા ફર્યા પછી મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ તેમના પાછા ફર્યા પછી થશે. આમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓનો સમાવેશ થશે.
પ્રવેશ વર્મા અને કૈલાશ ગેહલોત પણ LGને મળવા પહોંચ્યા
નવી દિલ્હી બેઠક પરથી કેજરીવાલને હરાવનારા પ્રવેશ વર્મા પણ એલજી સક્સેનાને મળવા આવ્યા છે. તેમના ઉપરાંત બિજવાસન બેઠક પરથી જીતેલા કૈલાશ ગેહલોત પણ રાજભવન પહોંચ્યા છે. નીરજ બસોયા અને રાજકુમાર ચૌહાણ પણ એલજીને મળ્યા.
અરવિંદર સિંહ લવલી એલજીને મળવા પહોંચ્યા
ગાંધીનગરથી ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય અરવિંદર સિંહ લવલી એલજી વીકે સક્સેનાને મળવા પહોંચ્યા છે. અરવિંદર સિંહ લવલીએ ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને મળવા અંગે કહ્યું, “આ ફક્ત એક શિષ્ટાચાર મુલાકાત હતી.”