July 2, 2024

ભારતીયોને Maggiનું ઘેલું લાગ્યું… કંપનીએ 15 મહિનામાં કરી રૂ. 24000 કરોડની કમાણી

Maggi Noodles Sales in India: ભારતમાં ઈન્સ્ટન્ટ નૂડલ્સ મેગી ખાવાના શોખીન લોકોની કોઈ કમી નથી પછી તે બાળકો હોય, વૃદ્ધ હોય કે યુવાનો, ગામ હોય કે શહેર હોય કે પહાડી વિસ્તાર. 2 મિનિટમાં તૈયાર થઈ જતી આ વાનગી દરેક જગ્યાએ મળી શકે છે. મેગી પ્રત્યે ભારતીયોનો આવો જ ક્રેઝ આંકડાઓમાં પણ જોવા મળે છે અને તેનું ઉત્પાદન કરતી કંપની નેસ્લેની મેગી માટે ભારત વિશ્વનું સૌથી મોટું બજાર બની ગયું છે. એટલું જ નહીં કંપનીએ ભારતમાં 2 મિનિટ નૂડલ્સના વેચાણથી જંગી કમાણી કરી છે.

નેસ્લે ઇન્ડિયાએ મંગળવારે તેનો વાર્ષિક અહેવાલ જાહેર કર્યો અને માહિતી શેર કરી કે ભારત કંપનીના ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને સૂપ બ્રાન્ડ મેગી માટે વૈશ્વિક સ્તરે સૌથી મોટા બજાર તરીકે ઉભરી આવ્યું છે. કંપનીની ચોકલેટ બ્રાન્ડ કિટકેટ માટે આ વિશ્વનું બીજું સૌથી મોટું માર્કેટ બની ગયું છે. નાણાકીય વર્ષ 2023-24 માટે કંપનીના વાર્ષિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે નવા સંશોધનો અને મોટા વિતરણ નેટવર્ક સાથે બિઝનેસને આગળ વધારવામાં મદદ મળી છે.

આ પણ વાંચો: 1 જુલાઈથી બંધ થઇ જશે પંજાબ નેશનલ બેંકના આ સેવિંગ એકાઉન્ટ

પીટીઆઈના અહેવાલ મુજબ સ્વિસ મલ્ટીનેશનલ કંપની નેસ્લેના ઈન્ડિયા યુનિટે સારૂ એવું સેલ નોંધાવ્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને ખાવા માટે તૈયાર વાનગીઓ માટે જાણીતી કંપનીએ ગયા નાણાકીય વર્ષ 2023-24માં એકલા ભારતમાં જ મેગીની 6 બિલિયનથી વધુ સર્વિંગ્સ વેચી છે, જે દુનિયાના અન્ય કોઈપણ દેશ કરતા મેગીના વેચાણ કરતાં વધુ છે. કંપનીએ આ સમયગાળા દરમિયાન કિટકેટ ચોકલેટની 4.2 અબજ ફિંગર્સ વેચી છે અને આ બ્રાન્ડના વેચાણમાં કંપની માટે બીજું સૌથી મોટું બજાર બની ગયું છે.

પ્રતિબંધનો સામનો કર્યો
નોંધનીય છે કે મેગી તેના સંભવિત સ્વાસ્થ્ય જોખમોને લઈને ભારતમાં સમયાંતરે ચર્ચાનો વિષય બની છે. તેને 2015માં પાંચ મહિનાના પ્રતિબંધનો પણ સામનો કરવો પડ્યો હતો. જોકે ભારતમાં તેના સ્વાદના ચાહકોની કોઈ કમી નથી. કંપનીના ઉત્પાદનોના વેચાણમાં મજબૂત વધારાને કારણે નેસ્લે ઇન્ડિયાએ 31 માર્ચ 2024 સુધીના છેલ્લા 15 મહિનામાં રૂ. 24,275.5 કરોડનું વેચાણ નોંધાવ્યું છે.

શેરએ પાંચ વર્ષમાં પૈસા ડબલ કર્યા
એક તરફ નેસ્લેની પ્રોડક્ટ્સ મેગી અને કિટકેટનો ક્રેઝ વધ્યો છે ત્યારે વેચાણના જબરદસ્ત આંકડાની અસર કંપનીના શેર પર પણ જોવા મળી રહી છે. નેસ્લે શેરમાં રોકાણ કરનારા રોકાણકારોની રકમ પાંચ વર્ષમાં બમણી થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરે રોકાણકારોને 119.81 ટકા વળતર આપ્યું છે. મંગળવારે શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન રૂ. 2.46 લાખ કરોડની માર્કેટ કેપિટલાઇઝેશન (નેસ્લે એમકેપ) ધરાવતી કંપનીના શેર રૂ. 2550 પર બંધ થયા હતા. ટ્રેડિંગ દરમિયાન તે વધીને રૂ.2555 પર પહોંચી ગયો હતો.