September 21, 2024

પંચમહાલના કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ, ધરતીપુત્રો ચિંતિત બન્યાં

દશરથસિંહ પરમાર, પંચમહાલઃ જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં સારો અને ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ વ્યાપ્યો હતો. ખેતીલાયક વરસાદ થતા ખેડૂતો દ્વારા મકાઈ, કપાસ, તુવેર, ડાંગર અને સોયાબીન સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના મુખ્ય પાકો ડાંગર અને મકાઈનું વાવેતર ખૂબ જ સારા પ્રમાણમાં થવા પામ્યું છે. પરંતુ લાંબા સમયથી પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ ન થતા હાલ પણ તળાવ, નદી નાળાઓ સૂકાયેલાં છે, જેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ગત વર્ષે ખેડૂતો શિયાળાની ઋતુમાં કમોસમી વરસાદ થતા ખેતીમાં ભારે નુકસાન થયું હતું. ત્યારે ખેતીને થયેલા ભારે નુકસાન સહન કર્યા બાદ આ વર્ષે ચોમાસાની ઋતુમાં સારો વરસાદ થશે અને સારી ખેતી થવાની ખેડૂતોની આશાઓ હતી, પરંતુ પંચમહાલ જિલ્લામાં હાલ સુધી ધોધમાર અને સારો વરસાદ નહીં થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. મેઘરાજાએ પ્રથમ ધમાકેદાર એન્ટ્રી બાદ વિરામ પાળતા ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં સારો એવો વરસાદ થશે તો હજુ પણ વાવેતરમાં વધારો થવાની શક્યતા રહેલી છે, ત્યારે હવે પછીનો વરસાદ સમયસર આવે તેવી પણ ખેડૂતો આશા સેવી રહ્યા છે.

પંચમહાલ જિલ્લામાં ચોમાસાની ઋતુના શરૂઆતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા હતા. જેથી ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં આંનદ વ્યાપ્યો હતો. ખેડૂતોએ પ્રથમ વરસાદના વિરામ બાદ ખેતરોમાં મકાઈ,સોયાબીન સહિતનું વાવેતર કરી દીધું છે. પરંતુ પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગત ચોમાસાની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં ઓછું વરસાદી પ્રમાણ નોંધાયું છે. તેથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોએ મોંઘાદાટ ખાતર બિયારણ લાવી મકાઈ, કપાસ, તુવેર, ડાંગર અને શાકભાજી સહિતની વાવણી કરી દીધા બાદ મેઘરાજાએ લાંબો વિરામ લીધો છે.

બીજી તરફ આ વર્ષે ઓછા વરસાદને લઈ હાલ શાકભાજીમાં ઇયળોનો ઉપદ્રવ થતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેવી જ રીતે ઓછા વરસાદ અને લઈ નદી-નાળાં, તળાવ અને ચેકડેમ હાલ ખાલીખમ જોવા મળી રહ્યા છે.

બીજી તરફ ભૂગર્ભ જળ સ્તર ઉંચા નહીં આવતા કુવાને બોરવેલ પણ હાલ ખાલીખમ હાલતમાં હોવાથી ખેડૂતોને આગામી શિયાળો અને ઉનાળુ ઋતુમાં પણ ખેતી માટે અગવડતા ભોગવી પડે એવી હાલ સર્જિત સ્થિતિથી શક્યતાઓ જોવાઈ રહી છે. હાલ તો ખેડૂતો કાગડોળે મેઘરાજા મન મૂકીને વર્ષે એવી કુદરત પાસે આશા રાખી મીટ માંડીને બેઠા છે. જો કે, ગત વર્ષે થયેલા પાછોતરાં વરસાદને લઈ પણ ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે આ વર્ષે હાલની સર્જિત સ્થિતિએ ખેડૂતોની ચિંતા ને વધુ વિકટ અને ઘેરી બનાવી દીધી છે.

જો કે, જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, હાલ જિલ્લામાં જિલ્લામાં કુલ 1.72 લાખ હેક્ટર જમીન વાવેતરલાયક છે. તેમાંથી હાલ સુધી મકાઈ, ડાંગર, તુવેર, કપાસ અને સોયાબીન સહિત 1.63 લાખ હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે. ગત વર્ષે 1.67 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોએ ચોમાસાની ખેતીનું વાવેતર કર્યું હતું. જો કે, મેઘરાજાએ પ્રથમ ધમાકેદાર એન્ટ્રી બાદ વિરામ પાળતા જિલ્લામાં હજુ પણ ખેડૂતો ડાંગરની રોપણી માટે વરસાદની રાહ જોઈ રહ્યા છેતો કેટલાક ખેડૂતોએ આગામી દિવસોમાં વરસાદ વરસવાની આશાઓ સાથે રોપણી શરૂ કરી દીધી છે. જિલ્લામાં હજી પણ 4 હજાર હેક્ટર ઉપરાંત વાવેતર બાકી છે જે આગામી દિવસોમાં થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

ત્યારે હાલ કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડવાના કારણે ડાંગરની ખેતીલાયક વરસાદ નહીં વરસતા હાલ સુધી બોર-કુવાનું જળસ્તર નીચે જતા અને નદી-નાળાંઓમાં પાણી નહીં આવતા ક્યાંકને ક્યાંક ખેડૂતો ચિંતિંત જોવા મળી રહ્યા છે અને લાંબા સમય સુધી વરસાદ ખેંચાશે તો ખેડૂતો દ્વારા કરેલું વાવેતર અને પાક નિષ્ફળ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે.