September 20, 2024

પીએમ મોદીએ કર્યું વાયનાડના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ

વાયનાડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે કેરળ પહોંચ્યા હતા. તેમણે વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને રાહત અને પુનર્વસનના કાર્યોની સમીક્ષા કરી. વધુમાં તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલો સાથે પણ મુલાકાત કરી હતી. કેરળના પહાડી જિલ્લામાં 30 જુલાઈના રોજ આવેલ ભૂસ્ખલનમાં 400 થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. વાયનાડ ભૂસ્ખલનને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવા અને અસરગ્રસ્ત લોકો માટે વળતર વધારવાની વિપક્ષની માંગ વચ્ચે પીએમ મોદી વાયનાડ પહોંચ્યા હતા.

હવાઈ સર્વેક્ષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન પણ હાજર હતા. પીએમ મોદી આજે બપોરે ભૂસ્ખલનથી પ્રભાવિત ગામોની ગ્રાઉન્ડ વિઝિટ પણ કરવાના છે. અહીં તેઓ હાલમાં ચાલી રહેલા ઈવેક્યુએશન ઓપરેશનને લઈને રેસ્ક્યૂ ટીમ પાસે માહિતી મેળવશે. ત્યારબાદ, વડાપ્રધાન રાહત શિબિરોમાં જશે જ્યાં ભૂસ્ખલનથી પ્રભાવિત લોકો હાલ આશરો આપવામાં આવ્યો છે. પીએમ અસરગ્રસ્ત લોકો સાથે વાત કરશે અને તેમની સમસ્યાઓ જાણશે.

તેઓ હોસ્પિટલની મુલાકાત લેશે અને ભૂસ્ખલનમાં ઘાયલ થયેલા લોકોને મળશે જેમની સારવાર ચાલી રહી છે. બાદમાં વડાપ્રધાન સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે જ્યાં તેમને આ કુદરતી આપત્તિ અને ચાલી રહેલા રાહત પ્રયાસો વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે. અગાઉ, લોકસભામાં વિપક્ષના નેતા અને વાયનાડના ભૂતપૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ ઘાતક ભૂસ્ખલન બાદ વિસ્તારની મુલાકાત લેવાનું નક્કી કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે તેમની મુલાકાત પછી વડાપ્રધાન વાયનાડ ભૂસ્ખલનને ‘રાષ્ટ્રીય આપત્તિ’ તરીકે જાહેર કરશે.