September 21, 2024

‘બધા સુરક્ષિત છે, તપાસ ચાલુ છે…’ કાનપુર ટ્રેન દુર્ઘટના પર રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી પ્રતિક્રિયા

કાનપુર: ઉત્તર પ્રદેશમાં શનિવારે મોડી રાતે 2.30 કલાકે એક ટ્રેન દુર્ઘટના ઘટી હતી. કાનપુર અને ભીમસેન રેલવે સ્ટેશન વચ્ચે સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં તમામ લોકો સુરક્ષિત છે. આ મામલે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને કહ્યું કે, સાબરમતી એક્સપ્રેસનું એન્જિન પાટા પર કંઈક અથડાયા બાદ પાટા પરથી ઉતરી ગઈ હતી.

રેલ્વે મંત્રીએ માહિતી આપી
દુર્ઘટના વિશે માહિતી આપતા રેલ્વે મંત્રીએ કહ્યું કે, વારાણસીથી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસનું એન્જિન સવારે 02.35 વાગ્યે કાનપુર નજીક ટ્રેક પર રાખેલી કોઈ વસ્તુ સાથે અથડાયા બાદ પાટા પરથી ઉતરી ગઈ હતી. તેમણે કહ્યું કે ટ્રેન પર અથડામણના નિશાન જોવા મળ્યા છે અને પુરાવા સુરક્ષિત રાખવામાં આવ્યા છે. અશ્વિની વૈષ્ણવે એ પણ માહિતી આપી હતી કે ઈન્ટેલિજન્સ બ્યુરો અને ઉત્તર પ્રદેશ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: હિંદુઓ પર હુમલાની ખબર વાસ્તવિકતા કરતાં અલગ… ‘યુનુસે કહ્યું- બાંગ્લાદેશમાં બધુ બરાબર’

ઉપરાંત, રેલ્વે મંત્રીએ કહ્યું કે મુસાફરો કે કર્મચારીઓને કોઈ ઈજા થઈ નથી. મુસાફરોને અમદાવાદ સુધી વધુ મુસાફરી કરવા માટે ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે.

તમામ સલામત, હેલ્પલાઈન નંબર બહાર પાડવામાં આવ્યો
આ અકસ્માતમાં ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જ્યારે આ અકસ્માત થયો ત્યારે મોડી રાત હતી અને તમામ મુસાફરો સૂતા હતા અને આ અકસ્માત થતાં જ લોકો ગભરાઈ ગયા હતા અને ભયભીત થઈ ગયા હતા. અકસ્માત બાદ રેલવેના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મુસાફરોને અમદાવાદ લઈ જવા માટે બસની વ્યવસ્થા કરી હતી. જો કે, બધું સલામત છે અને લોકોની મદદ માટે હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા હતા.