September 20, 2024

નાના બાળકો હોય કે મોટા કોઈને છોડવામાં નહીં આવેઃ સુરત પોલીસ કમિશનર

સુરતઃ શહેરના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને સમગ્ર મામલે વિગતવાર માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ‘આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની 6 ટીમ બનાવવામાં આવી છે. જેમાંથી એક ટીમ ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા કામગીરી કરી આરોપીને આઇડેન્ટિફાય કરવાની કામગીરી કરશે. ત્યારબાદ અન્ય ઇસમોને પકડવાની કામગીરી કરવામાં આવશે. આ મામલે 13 ફરિયાદ પોલીસ કંટ્રોલને મળી હતી.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘કેટલીક અફવાઓ પણ આ બાબતે ફેલાઈ હતી. આ અફવાઓમાં લોકો ન આવે અને કોઈ જૂનો વીડિયો કે અફવા ફેલાય તો પોલીસ કન્ટ્રોલ રૂમમાં સંપર્ક કરો. જે બાળકોએ પથ્થરમારો કર્યો હતો તે પોણા એક કિલોમીટર દૂરથી આવ્યા હતા. ગયા વર્ષે પણ આ પ્રકારે વિસર્જનના દિવસે ઘટના બની હતી. તે સમયે પણ બાળકો આ ઘટનામાં ઇન્વોલ્વ હતા.’

તેમણે કહ્યું છે કે, ‘પોલીસ આ બાબતે સતર્ક હતી જ એટલા માટે તત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. અમે આ ઘટનામાં ફરિયાદીને સમજાવ્યા એટલે આ બાબતે ફરિયાદ દાખલ થઈ છે. આ વર્ષે અમે નક્કી કર્યું છે કે, નાના બાળકો હોય તો મોટા કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. એટલે જ બાળકો સામે જુવેનાઇલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ઝડપાયેલા તમામ બાળકો 12થી 13 વર્ષના છે. 1 ઓટોમાં ઓટો ડ્રાઈવર સહિત 7 લોકો સવાર હતા. જેમાં 1 ડ્રાઇવર અને 6 જુવેનાઇલ છે.’