September 21, 2024

લદ્દાખ સીમા પર કેવી છે સ્થિતિ, જયશંકરના નિવેદન પર ચીને આપ્યો જવાબ

Eastern Ladakh: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ચીન સાથેના સીમા વિવાદને લઈને મોટું નિવેદન આપ્યું છે. જયશંકરે કહ્યું હતું કે અમે ચીન સાથેની 75 ટકા સમસ્યાઓનું સમાધાન કરી લીધું છે. જયશંકરના આ નિવેદનના એક દિવસ બાદ ચીનના વિદેશ મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. ચીને કહ્યું કે ગલવાન સહિત પૂર્વ લદ્દાખના ચાર સ્થળોએથી સૈનિકોને હટાવી દેવામાં આવ્યા છે. હાલ સરહદ પર સ્થિતિ સ્થિર છે.

આ ગુરુવારે NSA અજીત ડોભાલ અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ સેન્ટ પીટર્સબર્ગમાં બ્રિક્સની બેઠક દરમિયાન બેઠક કરી હતી. આ બેઠકમાં બંને નેતાઓ વચ્ચે પૂર્વ લદ્દાખમાં સરહદ વિવાદ પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન બંને પક્ષો પરસ્પર સમજણ અને વિશ્વાસ વધારવા અને દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે વાતાવરણ બનાવવા માટે સંમત થયા હતા.

આ દરમિયાન દ્વિપક્ષીય સંબંધો સુધારવા પર સહમતિ સધાઈ હતી. જ્યારે આ મુદ્દે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગને પૂછવામાં આવ્યું કે, શું પૂર્વી લદ્દાખમાં સરહદ વિવાદને કારણે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં મડાગાંઠમાં સુધારો થવાનો કોઈ અવકાશ છે? તેના પર માઓએ કહ્યું કે બંને સેનાઓ ચાર વિસ્તારોમાંથી હટી ગઈ છે અને સરહદ પર સ્થિતિ સ્થિર છે.

પૂર્વી લદ્દાખના ગલવાન સહિત 4 સ્થળોએથી સેના પાછી ખેંચી લેવામાં આવી
ચીની પ્રવક્તાએ વધુમાં કહ્યું કે બંને દેશોની સેનાઓએ ચીન-ભારત સરહદના પશ્ચિમી સેક્ટરના ચાર બિંદુઓથી પાછા હટવાનું કામ પૂર્ણ કરી લીધા છે. જેમાં ગલવાન ખીણનો પણ સમાવેશ થાય છે. ચીન-ભારત સરહદ પર સ્થિતિ સામાન્ય રીતે સ્થિર અને નિયંત્રણમાં છે. ખરેખરમાં માઓનું આ નિવેદન જીનીવામાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરના નિવેદનના એક દિવસ બાદ આવ્યું છે.

જયશંકરે ચીન સાથેના સરહદ વિવાદ અંગે શું કહ્યું?
જયશંકરે કહ્યું હતું કે અમે ચીન સાથેની 75 ટકા સમસ્યાઓ હલ કરી લીધી છે, પરંતુ સૌથી મોટો મુદ્દો સરહદ પર વધી રહેલા લશ્કરીકરણનો છે. બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે. ગલવાન ખીણમાં થયેલી હિંસાથી બંને દેશોના સંબંધો પર ભારે અસર પડી છે. સંબંધોને કેવી રીતે સુધારી શકાય તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે. અમે ઈચ્છીએ છીએ કે જો સૈનિકો પાછા ખેંચવાના મુદ્દાનો કોઈ ઉકેલ આવે તો સંબંધોમાં સુધારો લાવવાની વાત થઈ શકે.

આ પણ વાંચો: બંગાળને મોદીથી આઝાદ કરાવો… મમતા બેનર્જીને અપીલ કરવા લાગ્યો બાંગ્લાદેશી આતંકવાદી

ભારત અને ચીન વચ્ચે મે 2020થી ચર્ચા
પૂર્વી લદ્દાખમાં સીમા વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચે મે 2020થી મડાગાંઠ ચાલી રહી છે. ચાર વર્ષ વીતી ગયા પણ હજુ સુધી તેનો ઉકેલ મળ્યો નથી. જો કે, બંને પક્ષોએ ઘણા સંઘર્ષના સ્થળોએથી તેમના સૈનિકોને પાછા ખેંચી લીધા છે. જૂન 2020માં ગલવાન ઘાટીમાં ભીષણ અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા.

મડાગાંઠને ઉકેલવા માટે બંને પક્ષો વચ્ચે અત્યાર સુધીમાં કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીતના 21 રાઉન્ડ યોજાયા છે. ભારત સ્પષ્ટપણે કહે છે કે જ્યાં સુધી સરહદી વિસ્તારોમાં શાંતિ નહીં હોય ત્યાં સુધી ચીન સાથે તેના સંબંધો સામાન્ય નહીં થઈ શકે.