September 20, 2024

મુખ્યમંત્રી પદથી રાજીનામું આપ્યા બાદ હવે સરકારી ઘર સહિતની સુવિધાઓ છોડશે કેજરીવાલ!

Delhi: દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે સરકારી મકાન સહિત તમામ સુવિધાઓ છોડવાનો નિર્ણય કર્યો છે. અરવિંદ કેજરીવાલે મંગળવારે લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાને પોતાનું રાજીનામું સુપરત કર્યા પછી, મુખ્ય પ્રધાન-નિયુક્ત આતિશીએ નવી સરકાર બનાવવાનો તેમનો દાવો રજૂ કર્યો. આ ઘટનાક્રમને દિલ્હીમાં લગભગ પાંચ મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાની વ્યૂહરચના તરીકે જોવામાં આવી રહી છે.

કેજરીવાલે એલજીને રાજીનામું સોંપ્યું
કેજરીવાલે રવિવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર ત્યારે જ બેસશે જ્યારે જનતા તેમને “ઈમાનદારીનું પ્રમાણપત્ર” આપશે. દિલ્હીની દારૂ નીતિ ‘કૌભાંડ’માં ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા અને ગયા અઠવાડિયે જેલમાંથી મુક્ત થયેલા AAP સુપ્રીમોએ મંગળવારે સાંજે લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. આતિશી (43) દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી હશે. તેમના પહેલા ભાજપના નેતા સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસના શીલા દીક્ષિત આ પદ સંભાળી ચૂક્યા છે.

કેજરીવાલે પાર્ટીના ધારાસભ્યોની બેઠકમાં તેમના અનુગામી તરીકે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને તમામ ધારાસભ્યોએ સર્વસંમતિથી સ્વીકાર્યો હતો. આતિશીએ વિધાયક દળની બેઠક બાદ કહ્યું, “હું કેજરીવાલને મુખ્યમંત્રી પદ પર પુનઃસ્થાપિત કરવાના એક જ લક્ષ્ય સાથે આગામી કેટલાક મહિનાઓ સુધી કામ કરીશ. હું અરવિંદ કેજરીવાલના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી તરીકે કામ કરીશ.

આ પણ વાંચો: શિવસેનાના સંજય ગાયકવાડનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન – કોંગ્રેસનાં કૂતરાંઓને દાટી દઈશું…

દિલ્હીમાં ચૂંટણી ક્યારે થશે?
દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે 23 ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને ફેબ્રુઆરીની શરૂઆતમાં ચૂંટણી યોજાવાની આશા છે. જો કે કેજરીવાલે માંગ કરી છે કે નવેમ્બરમાં મહારાષ્ટ્રની સાથે દિલ્હીમાં પણ ચૂંટણી યોજવી જોઈએ. કેજરીવાલ પછી આગામી મુખ્યપ્રધાન કોણ હશે તેની ઉગ્ર અટકળો ચાલી રહી હતી. આ રેસમાં આતિશીનું નામ સૌથી આગળ હતું અને તે કેજરીવાલ અને પાર્ટીના અન્ય અગ્રણી નેતા મનીષ સિસોદિયાની ખૂબ નજીક માનવામાં આવે છે. AAP ધારાસભ્ય દળની બેઠકમાં કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને તમામ ધારાસભ્યોએ સર્વસંમતિથી સ્વીકારી લીધો હતો.