September 20, 2024

તિરુપતિ લાડુ પ્રસાદમ વિવાદ પર મંદિર પ્રબંધનનું મોટું નિવેદન

Tirupati Temple Management: આંધ્રપ્રદેશના તિરુપતિમાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પ્રસાદ તરીકે ચઢાવવામાં આવતા લાડુમાં જાનવરોની ચરબી હોવાના વિવાદ વચ્ચે, મંદિરના સંચાલનની દેખરેખ રાખતી સંસ્થા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્સ (TTD)એ કહ્યું હતું કે મંદિરમાં ઘી સપ્લાય કરનારાઓએ આંતરિક ભેળસેળ પરીક્ષણ સુવિધાના અભાવનો લાભ લીધો હતો અને બાહ્ય સુવિધાઓનો પણ ઉપયોગ કર્યો ન હતો. TTD એક્ઝિક્યુટિવ ઓફિસર જે શ્યામલ રાવે જણાવ્યું હતું કે લેબોરેટરી ટેસ્ટમાં પસંદ કરાયેલા સેમ્પલમાં પ્રાણીની ચરબીની ખબર પડી.

કોન્ટ્રાક્ટરે તેનો લાભ લીધો હતો
ઘીની ગુણવત્તા અંગે ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ઓફિસરે કહ્યું કે ઘીની ગુણવત્તામાં ધરખમ ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે ગુણવત્તાનો અભાવ લેબોરેટરીની ગેરહાજરી, પરીક્ષણ માટે બહારની લેબોરેટરીમાં નમૂનાઓ મોકલવા અને અવ્યવહારુ દરોને કારણે છે. રાવે જણાવ્યું હતું કે સપ્લાયરોએ આ છટકબારીઓનો લાભ લીધો હતો. તમને જણાવી દઈએ કે ટીટીડી આ લોકપ્રિય પહાડી મંદિરનું સંચાલન કરે છે, જ્યાં આખા વર્ષ દરમિયાન લાખો ભક્તો આવે છે.

લેબ રિપોર્ટ બાદ કોન્ટ્રાક્ટર બ્લેક લિસ્ટ, દંડ પણ વસૂલવામાં આવશે
જે શ્યામલ રાવે કહ્યું કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ લાડુ બનાવવામાં પશુઓની ચરબીના ઉપયોગ અંગે ફરિયાદો મળવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ, જો સપ્લાયર્સ નબળી ગુણવત્તાનું ઘી આપશે તો તેમને બ્લેકલિસ્ટ કરવાની ચેતવણી આપવામાં આવી હતી. બાદમાં ગુણવત્તા સારી ન હોવાનું જણાતાં ઘી ભરેલી ચાર ટ્રકોમાંથી ઘીના નમૂના લઇ ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. રાવે જણાવ્યું હતું કે લેબોરેટરી પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે નમૂનામાં પ્રાણીની ચરબીની પણ ભેળસેળ હતી. તેમણે કહ્યું, “ચારેય સેમ્પલના રિપોર્ટમાં સમાન પરિણામો જોવા મળ્યા. તેથી અમે તાત્કાલિક પુરવઠો બંધ કરી દીધો હતો. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની સાથે દંડ વસૂલવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. હવે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

ઘી સપ્લાય કરતી કંપનીએ આ દાવો કર્યો છે
બીજી બાજુ, ચેન્નાઈના તિરુપતિ બાલાજી મંદિરમાં ઘી સપ્લાય કરતી કંપની ‘આર ડેરી’એ જણાવ્યું હતું કે ગુણવત્તા પ્રમાણિત કર્યા પછી અધિકારીઓ દ્વારા તેમના ઉત્પાદનના નમૂનાઓને મંજૂરી આપવામાં આવી હતી. ડિંડીગુલ સ્થિત કંપનીના પ્રવક્તાએ પત્રકારોને જણાવ્યું હતું કે તેઓએ તિરુમાલા ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરને જૂન અને જુલાઈ મહિનામાં જ ઘી સપ્લાય કર્યું હતું. જ્યારે તિરુપતિ મંદિરમાં ઘી સપ્લાય કરવામાં આવતું હતું ત્યારે પણ તેને યોગ્ય માન્યતા પ્રાપ્ત લેબોરેટરી રિપોર્ટ સાથે મોકલવામાં આવતું હતું. તેમણે કહ્યું કે તેમના ઉત્પાદનો દરેક જગ્યાએ ઉપલબ્ધ છે અને તેમની ગુણવત્તા તપાસી શકાય છે.