September 18, 2024

ટેક્સાસમાં બની હનુમાનની વિશાળ મૂર્તિ, મંદિર પરિસરમાં ઘૂસી આવ્યું કટ્ટરપંથીઓનું ટોળું, અને….

Texas Hanuman Statue: અમેરિકાના ટેક્સાસ શહેરમાં બનેલી વિશાળ હનુમાનજીની પ્રતિમાનો કેટલાક સ્થાનિક સંગઠનોએ વિરોધ શરૂ કર્યો છે. રવિવારે સ્થાનિક ચર્ચના કેટલાક સભ્યો મંદિર પરિસરમાં ઘૂસી ગયા અને હનુમાનજીની મૂર્તિ બનાવવાનો વિરોધ કરવા લાગ્યા. મંદિર પરિસરમાં ઘૂસેલા લગભગ 25 લોકોએ ન માત્ર હંગામો મચાવ્યો પરંતુ ત્યાં હાજર લોકોને પણ હેરાન કર્યા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, મંદિર પરિસરમાં ઘૂસી ગયેલા લોકો તે ચર્ચના સભ્યો હતા જેમના નેતાએ મૂર્તિની સ્થાપનાનો વિરોધ કર્યો હતો. લોકો મૂર્તિ પાસે પહોંચી ગયા હતા અને પોતાના ધર્મ મુજબ પૂજા કરવા લાગ્યા હતા. જ્યારે મંદિર પ્રશાસને પોલીસને બોલાવવાની ચેતવણી આપી તો આ લોકો પલાયન થઈ ગયા.

ટેક્સાસના અષ્ટલક્ષ્મી મંદિરમાં હોબાળો 
વાસ્તવમાં, ટેક્સાસના સુગર લેન્ડનો હિન્દુ સમુદાય શ્રી અષ્ટલક્ષ્મી મંદિરમાં હનુમાનજીની મૂર્તિના નિર્માણની ઉજવણી કરી રહ્યો છે. હિન્દુ સમુદાયમાં, હનુમાનજીને જ્ઞાન, શક્તિ, હિંમત અને ભક્તિના દેવતા તરીકે પૂજવામાં આવે છે. એક તરફ હિન્દુ સમુદાયના લોકો મંદિરમાં દર્શન કરવા આવી રહ્યા છે, જ્યારે કેટલાક સ્થાનિક કટ્ટરપંથીઓને આ પસંદ નથી આવી રહ્યું. આ જ કારણે રવિવારે મંદિર પરિસરમાં હોબાળો થયો. અષ્ટલક્ષ્મી મંદિરમાં આ પ્રતિમા 80 લાખ ડોલરના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.

ઈસા મસીહને લઈને લોકોને કરવા લાગ્યા સવાલો
મંદિરના જોઈન્ટ સેક્રેટરી ડૉ. રંગનાથ કંડલાએ કહ્યું કે ‘શરૂઆતમાં તેમને લાગતું હતું કે લોકો મૂર્તિ જોવા માટે મંદિરમાં આવી રહ્યા છે, કારણ કે ઇન્ટરનેટ પર તેના વિશે વાંચીને ઘણા લોકો મૂર્તિ જોવા આવે છે. એવામાં, તેમને મંદિર પરિસરમાં જતા કોઈએ ન રોક્યા. પરંતુ થોડી જ વારમાં આ સમૂહના લોકો મંદિરની પ્રદક્ષિણા કરીને પ્રાર્થના કરવા લાગ્યા. થોડા સમય બાદ, વિરોધ કરી રહેલા કેટલાક લોકો ચાલ્યા ગયા, જ્યારે બાકી રહેલા કેટલાક લોકો પૂછવા લાગ્યા કે શું તેઓ ઈસુ ખ્રિસ્ત વિશે જાણે છે. મંદિરમાં ઘૂસી આવેલા જૂથના સભ્યો લોકોને રોકવા લાગ્યા અને એ વાત પર ભાર મૂકવાનું શરૂ કર્યું કે ઈસુ ખ્રિસ્ત એકમાત્ર ભગવાન છે. મંદિરમાં પ્રવેશેલા લોકોએ બાળકોને અને મંદિરમાં દર્શન કરવા આવેલા કેટલાક લોકોને કહ્યું કે આ મૂર્તિની પૂજા ન કરો. આ ખોટા દેવતા છે, તેઓ બળીને રાખ થઈ જશે. જેના કારણે મંદિર પરિસરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો: ભાજપમાં સામેલ થવા પર ચંપાઈ સોરેનની પહેલી પ્રતિક્રિયા, ‘મોદી-શાહ પર છે વિશ્વાસ’

પોલીસ બોલાવવાની ધમકી આપતા કટ્ટરપંથીઓ પલાયન થઈ ગયા
જોઈન્ટ સેક્રેટરી ડૉ. રંગનાથ કંડલાએ વધુમાં જણાવ્યું કે આ લોકોને આમ કરતા અટકાવવામાં આવ્યા અને કહ્યું કે અમે તમારા ભગવાનનું સન્માન કરીએ છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે પણ અમારું સન્માન કરો. પરંતુ, ઘણા લોકો એવા હતા જે માનવા તૈયાર જ નહોતા અને દલીલો કરવા લાગ્યા હતા. ત્યારબાદ, પોલીસ બોલાવવાની ધમકી આપી તો આ લોકો ભાગી ગયા.

વાસ્તવમાં, ટેક્સાસમાં આ મહિને 18 ઓગસ્ટના રોજ, 90 ફૂટ ઊંચી ભગવાન હનુમાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રતિમા હવે અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે. આ મૂર્તિને સ્ટેચ્યુ ઓફ યુનિયન નામ આપવામાં આવ્યું છે. હનુમાનજીની મૂર્તિને શુગર લેન્ડમાં શ્રી અષ્ટલક્ષ્મી મંદિર પરિસરમાં બનાવવામાં આવી છે.