July 2, 2024

ગુજરાતમાં AAP 2 અને કોંગ્રેસ 24 બેઠક પર ગઠબંધન કરશે

AAP-Congress Alliance: દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી 2024 માટે બેઠકોની વહેંચણીની જાહેરાત કરી છે. કોંગ્રેસ અને AAP વચ્ચે બેઠકોને લઈને સમજૂતી થઈ છે. દિલ્હીમાં AAP ચાર અને કોંગ્રેસ ત્રણ સીટો પર ચૂંટણી લડશે. પત્રકાર પરિષદમાં ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી કે બંને પાર્ટીઓ અન્ય કેટલાંક રાજ્યોમાં પણ સાથે ચૂંટણી લડશે. કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ મુકુલ વાસનિકે કહ્યું કે દિલ્હી લોકસભામાં સાત સીટો છે. જેમાંથી આમ આદમી પાર્ટી ચાર બેઠકો પર ચૂંટણી લડશે. જેમાં નવી દિલ્હી, પશ્ચિમ દિલ્હી, દક્ષિણ દિલ્હી અને પૂર્વ દિલ્હીનો સમાવેશ થાય છે.

કોંગ્રેસનાનેતા મુકુલ વાસનિકે પત્રકાર પરિષદમાં કહ્યું કે કોંગ્રેસ ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે. જેમાં ચાંદની ચોક, નોર્થ ઈસ્ટ અને નોર્થ વેસ્ટ પર ચૂંટણી લડશે. આ સાથે ગુજરાત, હરિયાણા, ચંદીગઢ અને ગોવામાં કોંગ્રેસ અને AAP વચ્ચે બેઠકોની વહેંચણીની જાહેરાત કરવામાં આવી હતી. જોકે પંજાબ અને ચંદીગઢમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું નથી. બંને પક્ષો અલગ-અલગ ચૂંટણી લડશે. ચંદીગઢ સીટ કોંગ્રેસના ખાતામાં આવી ગઈ છે. માહિતી અનુસાર હરિયાણામાં કોંગ્રેસ નવ બેઠકો પર અને AAP એક બેઠક પર ચૂંટણી લડશે.

જાણો, બેઠકોની વહેંચણી કઇ રીતે કરવામાં આવી…
દિલ્હી (સાત સીટો): કોંગ્રેસ 3 અને AAP 4 પર ચૂંટણી લડશે.
ગુજરાત (26 બેઠકો): કોંગ્રેસ 24 અને AAP 2 (ભરૂચ અને ભાવનગરમાં) ચૂંટણી લડશે.
હરિયાણા (10 બેઠકો): કોંગ્રેસ 9 અને AAP 1 (કુરુક્ષેત્ર) પર ચૂંટણી લડશે.
કોંગ્રેસ ચંદીગઢની એક સીટ પર ચૂંટણી લડશે.
કોંગ્રેસ ગોવામાં બંને સીટો પર ચૂંટણી લડશે.

કોંગ્રેસના મહામંત્રીએ માહિતી આપી હતી
કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ મુકુલ વાસનિકે કહ્યું કે હરિયાણામાં લોકસભાની 10 બેઠકો છે. કોંગ્રેસ 9 બેઠક પર ચૂંટણી લડશે. એક સીટ-કુરુક્ષેત્ર પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો હશે અને ચંદીગઢ પર લાંબી ચર્ચા બાદ આખરે નિર્ણય લેવામાં આવ્યો કે કોંગ્રેસના ઉમેદવાર ત્યાંથી ચૂંટણી લડશે. વધુમાં કહ્યું કે દિલ્હી લોકસભામાં સાત સીટો છે. જેમાં AAP 4 સીટો પર ચૂંટણી લડશે. નવી દિલ્હી, પશ્ચિમ દિલ્હી, દક્ષિણ દિલ્હી અને પૂર્વ દિલ્હી સીટ પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતારશે. બીજી બાજુ કોંગ્રેસ ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે. જેમાં ચાંદની ચોક, નોર્થ ઈસ્ટ અને નોર્થ વેસ્ટ પર ચૂંટણી લડવામાં આવશે.

દિલ્હીમાં AAP-કોંગ્રેસ ગઠબંધન જીતશે
દિલ્હી પ્રદેશ કન્વીનર ગોપાલ રાયે કહ્યું કે ભાજપ 400 સીટો જીતવાનો દાવો કરી રહી છે. પરંતુ દિલ્હીમાં ભાજપ નિષ્ફળ જોવા મળશે. દિલ્હીમાં AAP અને કોંગ્રેસના ગઠબંધનથી ભાજપ ડરી ગઈ છે. આ ડરને કારણે ED કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીની રાહ જોવા માટે સક્ષમ નથી. AAP ધારાસભ્ય દિલીપ પાંડેએ કહ્યું કે AAP  ‘INDIA’ ગઠબંધન સાથે ચૂંટણી લડશે અને ભાજપને સત્તા પરથી હટાવી દેશે.