July 6, 2024

AAPએ દારૂથી લઈને પાણી સુધીનું કૌભાંડ કર્યું, કોંગ્રેસે ફરિયાદ કરી અને ગાળો મને આપે છે: PM મોદી

PM Modi Speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા હતા. રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર બોલતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ આમ આદમી પાર્ટી વિશે ફરિયાદ કરી હતી અને તેમને કોર્ટમાં ખેંચ્યા હતા, હવે જ્યારે કાર્યવાહી થઈ રહી છે તો ગાળો પણ પડે છે. પીએમએ કોંગ્રેસ પાર્ટીને પૂછ્યું કે શું તેમણે આમ આદમી પાર્ટી વિરુદ્ધ આપેલા પુરાવા ખોટા છે?

પીએમ મોદીએ કહ્યું, ‘કેન્દ્રની તપાસ એજન્સીઓ પર આરોપો લગાવવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. ભ્રષ્ટાચાર કરે AAP, દારુ કૌભાંડ કરે AAP, બાળકોના વર્ગખંડ બાંધવામાં કૌભાંડ કરે AAP, પાણી કૌભાંડ કરે AAP, AAP ફરિયાદ કરે કોંગ્રેસ, AAPને કોર્ટમાં લઇ જાય કોંગ્રેસ અને હવે કાર્યવાહી થાય તો ગાળો આપશે મોદીને. હવે આ લોકો એકબીજાના મિત્રો બની ગયા છે.

પીએમ મોદીએ આમ આદમી પાર્ટીને કોંગ્રેસ પાસેથી જવાબ માંગવા કહ્યું. સાથે જ કોંગ્રેસને પણ સ્પષ્ટતા કરવા માટે કહેવામાં આવ્યું હતું કે તેમના દ્વારા કરવામાં આવેલા આરોપ સાચા છે કે ખોટા. પીએમે કહ્યું, ‘હું આમ આદમી પાર્ટીના સભ્યોને કહેવા માંગુ છું કે જો તમારામાં હિંમત હોય તો ગૃહમાં ઊભા રહો અને કોંગ્રેસ પાસેથી જવાબ માગો. કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને AAPના કૌભાંડોના પુરાવા દેશ સમક્ષ રજૂ કર્યા હતા. હવે કહો કે તેઓએ બતાવેલા પુરાવા સાચા હતા કે ખોટા.હું માનું છું કે તમારી પાસે આવી વાતોનો જવાબ આપવાની હિંમત નથી. આ લોકો બેવડા વલણ ધરાવે છે.

પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીમાં તેઓ ઈડી-સીબીઆઈની કાર્યવાહી પર ભોંઠા પાડે છે અને તે જ લોકો કેરળના મુખ્યમંત્રીને તે જ એજન્સીમાંથી જેલમાં મોકલવાની વાત કરે છે. ત્યારે લોકોના મનમાં સવાલ ઉઠે છે કે આમાં પણ દ્વિધા છે. છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારના મુખ્યમંત્રી સાથે દારૂ કૌભાંડ જોડાયેલું છે.એ જ AAP પાર્ટીના લોકો જોર જોરથી બૂમો પાડતા હતા કે ED-CBIની નિમણૂક કરો અને આ મુખ્યમંત્રીને જેલમાં ધકેલી દો. ત્યારે તેમને ED ખૂબ જ સુંદર લાગે છે.