July 2, 2024

9 મીટરથી ઓછી ઉંચાઈ ધરાવતી શાળાઓએ પણ ટાંકી બનાવવી પડશેઃ DEO

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ શાળામાં માત્ર ફાયર અક્સ્ટિંગ્યૂઝર બોટલ લગાવી દેવાથી નહીં ચાલે, હવે 9 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી શાળાઓએ પણ પાણીની ટાંકી બનાવવી ફરજિયાત છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસમાં 170થી વધુ શાળાઓ ધ્યાને આવી છે. જેની ઊંચાઈ 9 મીટરથી ઓછી છે પરંતુ તે શાળામાં 10 હજાર લીટરની પાણીની ટાંકી જ નથી. આ મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આવી શાળાઓને પાણીની ટાંકી બનાવવા માટે આદેશ કર્યો છે.

રાજકોટના અગ્નિ કાંડ બાદ અમદાવાદનું તંત્ર વિવિધ સ્થળે તપાસ કરી રહ્યું છે અને શાળાઓમાં ફાયર સેફ્ટી અને NOCને લઈને તપાસ હાથ ધરી હતી. અમદાવાદની અંદાજે 170 જેટલી શાળાઓ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસમાં ધ્યાને આવી છે. તેમને ત્યાં ફાયર સેફ્ટી સાધનો તો છે પરંતુ આગ અકસ્માતની ઘટના સમયે પાણીની જરૂરિયાત માટે પાણીના ટાંકા જ નથી તેમજ ફાયરની હોજરિલ ચાલુ સ્થિતિમાં નથી આવી શાળાઓને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે.

આ પણ વાંચોઃ 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ઓફિસ સુપરિટેન્ડેન્ટ ભરતસિંહ ગોહિલે ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, શાળાઓએ ફાયર સેફ્ટીના સાધનો વસાવ્યા છે. પરંતુ ઘણી શાળાઓ 9 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવે છે. તેમણે બાળકોની સલામતી માટે ફાયર સેફ્ટીના સાધનો છે. આવી શાળાઓમાં ફાયર અક્સ્ટિંગ્યૂઝર બોટલ લગાવી દેવામાં આવી છે. પરંતુ શાળાઓમાં 10 હજાર લીટરની ટાંકી બનાવવી પણ ફરજિયાત છે. જેવી 170 ધ્યાને આવી છે કે, તેમને પાણીની ટાંકી નથી. આવી શાળાઓએ ફરજિયાત પાણીની ટાંકી બનાવી દેવા તાકીદ કરી છે. એટલું જ નહીં, જ્યાં ફાયર સેફ્ટી સાધનો છે ત્યાં હોજરિલ પણ કાર્યરત હોવી જરૂરી છે. હાલ લેટર આપીને આવી શાળાઓને પાણીની ટાંકી બનાવી લેવા જણાવવામાં આવ્યું છે.