September 19, 2024

સાબરમતી નદી મુદ્દે કોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, સેમ્પલમાંથી મળ્યું ઝેર!

અમદાવાદઃ સાબરમતી નદી મુદ્દે કોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. મનપાની તપાસમાં નદી સુધી પહોંચતું સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી એકદમ શુદ્ધ છે. પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની તપાસમાં પાણી અત્યંત પ્રદૂષિત હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.

એક જ સ્થળેથી લેવાયેલા એક જ સેમ્પલમાં ઝેરના અવશેષો મળ્યા છે. ત્યારે તેમાં ઝેર ક્યાંથી આવ્યું, તે વિચારવા જેવી બાબત છે. પાલિકા પોતાની કામગીરીનો રિપોર્ટ બનાવીને પોતાની જ પીઠ થાબડી રહી છે.

નદીમાં પ્રદૂષણનું પ્રમાણ એટલી હદે વધ્યું છે કે, ઓક્સિજનનું પ્રમાણ ઘટતા માછલીઓ મરી રહી છે. મનપાએ માછલીઓને બચાવવા નદીના પાણીમાં ઓક્સિજન સિલિન્ડરથી ગેસ છોડી રહી છે. કોર્ટ મિત્ર દ્વારા રિવરફ્રન્ટ પર મૂકાયેલા ઓક્સિજન ગેસ સિલિન્ડરના ફોટો પણ એફિડેવિટમાં રજૂ કર્યા છે.

રિવરફ્રન્ટ પર કુલ 5 લોકેશન પર ઓક્સિજન સિલિન્ડર મૂકાયા હોવાનો કોર્ટ મિત્રએ દાવો કર્યો છે. 10 ઓક્સિજન સિલિન્ડરથી નદીની માછલીઓ કેવી રીતે બચાવી શકાય તે પણ સવાલ ઉભો થયો છે.