May 17, 2024

સાબરમતી રિવરફ્રન્ટમાં સામુહિક આપઘાતનો પ્રયાસ, કિન્નરે બચાવ્યો જીવ

Ahmedabad sabarmati riverfront Mass suicide attempt Kinner saves life

અમદાવાદઃ સાબરમતી રિવરફ્રન્ટમાં સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કરનારા પરિવારને બચાવી લેવામાં આવ્યો છે. ભુદરપુરામાં રહેતા પરિવારે આત્મહત્યાની કોશિશ કરી હતી. એક પરિવારના ચારેય સભ્યોને કિન્નર સહિત હાજર લોકોની સમયસૂચકતાએ બચાવી લેવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરની સાબરમતી નદીમાં સોમવારે એક પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એક જ પરિવારના ચાર સભ્યોએ નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જો કે, તે સમયે રિવરફ્રન્ટ વોકવે પર હાજર લોકો અને કિન્નર તથા ફાયરબ્રિગેડની ટીમે ચારેય લોકોને બચાવી લીધા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, જમાઈના ત્રાસથી કંટાળીને પરિવારે સામુહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

સોમવારના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર ચંદ્રનગર તરફના વોકવે પરથી બે મહિલા, એક પુરુષ અને છ વર્ષના બાળકે નદીમાં પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ સમયે રિવરફ્રન્ટ વોકવે પર અનેક લોકો હાજર હોવાથી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ અંગેની જાણ કરતા ફાયરબ્રિગેડની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી. ફાયરની રેસ્ક્યૂ ટીમે અન્ય લોકોને બચાવી લઈ નદીમાંથી બહાર કાઢ્યા હતા. જેથી આખા પરિવારને લોકોની હિંમત અને ફાયર બ્રિગેડની ટીમે બચાવી લીધો હતો.