વૈષ્ણોદેવી સર્કલ પાસે ખુલ્લી ગટરમાં પડતા બાળકનું મોત, તંત્રની ઘોર બેદરકારી

વૈષ્ણોદેવી સર્કલ પાસે ખુલ્લી ગટરમાં પડતા બાળકનું મોત નીપજ્યું છે.
અમદાવાદઃ શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસે એક આઠ વર્ષના બાળકનું મોત થતા તંત્ર ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બાળક માતા-પિતા સાથે હોળી રમવા રાજસ્થાન જવા માટે બસની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે તંત્રની બેદરકારીને કારણે રોડ પર ગટર લાઈનનો ખાડો ખુલ્લો હતો. જ્યાં બાળક રમતા રમતા ગટરમાં પડી જવાથી મોત થયું છે.
પહેલાં તો બાળક ક્યાં ગયો કોઈને ખબર નહોતી. જેથી અપહરણની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ તપાસ બાદ બાળક ગટરમાં પડી ગયો હતો. બાળકનું નામ દેવાંશ ધોબી છે અને તેના પિતા સોલા વિસ્તારમાં ધોબીનું કામ કરે છે. એક બાળકનો જીવ ગયા બાદ તંત્રએ ખુલ્લી ગટર પર ઢાંકણું લગાવી દીધું છે અને ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો છે. આ મામલે અડાલજ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ ફાગણી પૂનમે દ્વારકા, ડાકોર અને શામળાજીમાં ઉજવણી
ઉલ્લેખનીય છે કે, એકના એક બાળકનું મોત થવાથી પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે. એકબાજુ રાજસ્થાન જઈને હોળીનો તહેવાર મનાવવાની ઇચ્છા હતી. તો બીજી તરફ બાળકનું મોત થતા માહોલ ગમગીન બની ગયો છે. મહત્વનું છે કે, જાહેર રસ્તા પર આ રીતે ખુલ્લી ગટરોને કારણે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે.