September 20, 2024

અંબાજીમાં દિવ્યાંગ-અશક્ત લોકો માટે દર્શનની અલગ વ્યવસ્થા, વ્હિલચેરની પણ સુવિધા

વિક્રમ સરગરા, અંબાજીઃ ભાદરવી પૂનમ મહામેળામાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃદ્ધો, અશક્તો અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે દર્શનની અલાયદી વ્યવસ્થા, શારીરિક રીતે અશક્ત અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે વ્હિલચેરની સુવિધા આશીર્વાદરૂપ બની છે.

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ગુજરાત અને દેશભરમાંથી માઇભક્તો અનેરા ઉત્સાહ અને થનગનાટ સાથે અંબાજી આવી રહ્યા છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દર્શનાર્થીઓ અને યાત્રિકોની તમામ સુવિધાઓ, સવલતો અને વ્યવસ્થાઓ સચવાય તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી આજથી ગુજરાત પ્રવાસે, જાણો પળેપળનો કાર્યક્રમ

મેળામાં પદયાત્રીઓ, સંઘો સાથે વૃદ્ધો, વડીલો અને દિવ્યાંગ માઇભક્તો પણ મા અંબાને માથું ટેકવવા અને આશીર્વાદ મેળવવા આવતા હોય છે. વૃદ્ધો, અશક્તો, વડીલો અને દિવ્યાંગ માઇભક્તો પ્રત્યે વહીવટીતંત્રએ સંવેદના દાખવી તેમના માટે દર્શનની અલાયદી વ્યવસ્થા ગોઠવી છે. તેમજ ચાલી ન શકનારા અને અશક્ત યાત્રિકો માટે વ્હિલચેરની સુવિધા રાખવામાં આવી છે. શારીરિક રીતે અશક્ત માઇભક્તો માટે આ સુવિધા આશીર્વાદરૂપ બની છે.

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આવા અશક્ત દર્શનાર્થીઓને સ્વયંસેવકો મારફતે વ્હિલચેરની સુવિધા પૂરી પાડી માતાજીના દર્શન કરાવવામાં આવે છે. માતાજી પ્રત્યેની અનન્ય શ્રદ્ધા સાથે આવા શારીરિક રીતે અશકતો આ સુવિધા બદલ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરી ધન્યતા અનુભવે છે.