October 11, 2024

અંબાજી મંદિરે ઝવારાનું ઉત્થાપન, રાજવી પરિવાર ચાચર ચોકમાં યજ્ઞ કરશે

વિક્રમ સરગરા, અંબાજીઃ ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં માતાજીની આઠમની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા છે. નવરાત્રિ સાથે વરસની પ્રત્યેક આઠમ ભરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે આવે છે.

શક્તિનું પર્વ એટલે કે નવરાત્રિ. આજે નવરાત્રિનો અંતિમ દિવસ અને આઠમ-નોમ સાથે હોવાથી યાત્રાધામ અંબાજીમાં આઠમની સવારની આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી યાત્રિકો આઠમ ભરવા અંબાજી મંદિરે આવી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં માતાજીની આરતીમાં જોડાયા હતા. વહેલી સવારથી જ અંબાજી મંદિરના દ્વાર ઉપર મોટી સંખ્યામાં યાત્રિક લાઈનોમાં જોડાયા છે.

નવરાત્રિની આઠમ સાથે બાર મહિનાની પ્રત્યેક આઠમ ભરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અંબાજી મંદિર આવે છે અને આજે આસો સુદ નવરાત્રિનું અંતિમ નવરાત્રિ માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અંબાજી મંદિરે માતાજીને દર્શને પહોંચ્યા હતા. માતાજીની આરતી પૂર્ણ થયા બાદ આજે ઝવેરાની છેલ્લી આરતી કરી હતી. આજે નવરાત્રિમાં સ્થાપેલા કળશનું ઉત્થાપન થશે. વિશેષ કરીને આજે આઠમના દિવસે વર્ષોથી પરંપરા અનુસાર રાજવી પરિવાર દ્વારા આઠમનો યજ્ઞ અંબાજી મંદિરે ચાચર ચોકની યજ્ઞશાળામાં કરવામાં આવશે.