September 12, 2024

રાજકોટ લોકમેળાને લઈ તંત્ર એલર્ટ, 10 કરોડનો વીમો અને રાત્રે 11:30 પછી એન્ટ્રી બંધ

રાજકોટ: ટીઆરપી ગેમ ઝોન હોનારત બાદ રાજકોટમાં CFO અને ડેપ્યુટી CFO જેલમાં બંધ હોવાથી રાજકોટમાં યોજાતા લોકમેળામાં ફાયર NOC કોણ આપશે તે સવાલ ઉભો થયો હતો? જે બાદ એવી પણ ચર્ચાએ જોર પકડ્યું હતું કે, રાજકોટમાં મેળામાં આવતા લોકો રામ ભરોસે રહેશે. તમને જણાવી દઈએ કે, રાજકોટમાં લોકમેળાની સાથે 6 ખાનગી મેળાનું પણ આયોજન કરાયું છે. જે માટે 4 ખાનગી મેળાના આયોજકોએ પોલીસ પાસે મંજૂરી માંગી હતી અને 5 ખાનગી મેળાના આયોજકોએ ફાયર વિભાગ પાસે મંજૂરી માંગી હતી. જોકે હજુ સુધી એક પણ ખાનગી મેળાને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. આવામાં રાજકોટમાં યોજાતા જન્માષ્ટમીના મેળાને લઈ એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે.

રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા રાજ્ય સરકારને એક દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં અગમચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર પાસેથી SDRF અને NDRFની ટીમ ફાળવવા દરખાસ્ત કરવામાં આવી છે. લોકમેળાના ઇતિહાસમાં પ્રથમ વખત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલી એજન્સીના જવાનો ફાળવવા માંગ કરવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારે પણ રાજકોટમાં યોજાતા લોકમેળાને લઈ તંત્રએ વ્યવસ્થાઓ જાહેર કરી છે.

રાજકોટના લોકોમેળાને લઈ તંત્રની વ્યવસ્થા

  • લોકમેળામાં કુલ 235 સ્ટોલ રાખવામાં આવશે.
  • રમકડાના 140, ખાણીપીણીના 32, આઈસ્ક્રીમના 16, ટી-કોર્નર 1, નાની ચકરડીના 15, અને મોટી રાઇડ્સના 31ને મંજૂરી.
    મોટી રાઇડ્સ ફિટનેસ સર્ટી આપ્યા બાદ જ મંજૂરી મળશે.
  • કાયદો વ્યવસ્થા માટે 1266 પોલીસ જવાનો, 125 પ્રાઈવેટ સિક્યોરિટી, 14 વોચ ટાવર, 17 જગ્યાએ ફ્રી પાર્કિંગ રાખવામાં આવ્યું મેળા માટે 10 કરોડોનો વીમો પણ લેવામાં આવ્યો.
  • 5 એમ્બ્યુલન્સ અને 5 ફાયર ફાઈટર સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.
  • લોકમેળામાં રાત્રિના 11:30 વાગે મેળાની એન્ટ્રી બંધ.