October 21, 2024

બનાસકાંઠાના ખેડૂતો બજારમાં નીચા ભાવે મગફળી વેચવા મજબૂર

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લામાં 1.70 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. જો કે, આ વર્ષે મગફળીનો મબલખ પાક પણ ખેડૂતોએ લીધો છે. પરંતુ હવે માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા. ગત વર્ષે 1300થી 1400 રૂપિયા હતા. તો આ વર્ષે 900થી 1100 રૂપિયાનો ભાવ ખેડૂતોની મળી રહ્યો છે. જ્યારે ટેકાના ભાવે મગફળી ડિસેમ્બર માસમાં ચાલુ થશે એટલે ખેડૂતો અત્યારે તો નીચા ભાવે માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા મજબૂર બન્યા છે.

ભારે વરસાદ અને ખરાબ મોસમ વચ્ચે ખેડૂતોના ખેતરમાં મગફળી તો થઈ છે. ત્યારે અત્યારે દિવાળીની સિઝન છે. તેની સામે રવિ સીઝન પણ આવે છે એટલે ખેડૂતોને પૈસાની જરૂર હોય અને એને કારણે જ ખેડૂતો જિલ્લાના માર્કેટ યાર્ડમાં મગફળી ભરાવી રહ્યા છે. પરંતુ ગત વર્ષ કરતાં આ વર્ષે મગફળીનું ખૂબ જ ઓછો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. જેને કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. અન્ય ખર્ચા વચ્ચે ખેડૂતને ભાવ ન મળતા અત્યારે તો ખેડૂત મુશ્કેલીમાં છે, પરંતુ રવિ સીઝન અને દિવાળીના તહેવારોને લઈને ખેડૂતોને મગફળી વેચવી પડે તેવી પરિસ્થિતિ છે.

માર્કેટ યાર્ડમાં ખેડૂતો મગફળીનો પાક લઈને આવી રહ્યા છે. ત્યારે વેપારીઓ મગફળીના પાકને સ્વીકારે તો છે જ સાથે સાથે મગફળીના ભાવ ઘટી ગયા હોવાથી વેપારીઓ પણ વિમાસણમાં છે એટલે કે ખેડૂતોને મગફળી લઈ રહ્યા છે. પરંતુ આ સ્થિતિને તો વેપારીઓને પણ નુકસાન કરવાનું વારો આવે અને ખેડૂતોને પણ નુકસાન કરવાનો વારો આવે.

સરકારે ટેકાના ભાવે મગફળીનો 1300 રૂપિયાનો ભાવ જાહેર કર્યો છે. મગફળીનું ખરીદીનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે, પરંતુ આ રજિસ્ટ્રેશન 31 ઓક્ટોબર સુધી ચાલશે. ત્યારબાદ ડિસેમ્બરમાં મગફળીની ખરીદી થશે એના કરતાં આ વર્ષે માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ ઓછા છે. અત્યારે તો ખેડૂતો નીચા ભાવે મગફળી ભરાવી રહ્યા છે. તેને ખેડૂત આગેવાનોની પણ માગણી છે કે, સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે તે પ્રમાણે અત્યારથી જ માર્કેટ યાર્ડમાં લેવાય તો ખેડૂતોને તકલીફ ન પડે.