July 3, 2024

Rajkot અગ્નિકાંડમાં મોટો ખુલાસો, ગેમઝોનમાં રેઝીનનો 1500 લિટર જથ્થો હોવાનું ખુલ્યું

Rajkot Game Zone: રાજકોટ TRP ગેમઝોનમા અગ્નિકાંડનો મામલે રોજ નવા નવા ખુલાસા થતા રહે છે. ત્યારે હવે અગ્નિકાંડ માટે સૌથી મોટો ખુલાસો થયો છે. TRP ગેમઝોનમાં રેઝીનનો 1500 લિટર જથ્થો હોવાનું સામે આવ્યું છે. તેમજ ગેમઝોનમાં પેટ્રોલનો અડધો ભરેલો કેરબો પણ હતો. આ સિવાય રેઝીનનો ઉપયોગ વિવિધ રાઈડ્સના મેન્ટેનન્સ માટે કરાતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

મળતી માહિતી અનુસાર રાજકોટ અગ્નિકાંડમાં 27 લોકો બળીને ખાખ થઇ ગયા હતા. જેમા એક બાદ એક ખુલાસા થતા રહે છે. ગેમઝોનમાં પેટ્રોલ કે ડીઝલનો મોટો જથ્થો હોવા મુદ્દે નવો ઘટસ્ફોટ થયો છે. ઘટનાસ્થળે 1400 થી 1500લિટર રેઝીનનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. રેઝિન એટલે કે એક પ્રકારનો ચીકણા પદાર્થ જે ચીપકાવવા માટે સ્ટેચ્યુ બનાવવા વપરાય છે તે પદાર્થ હતો.

આ પણ વાંચો: ACBની તપાસમાં મોટો ખુલાસો, રાજકોટ મનપાના ડેપ્યુટી ફાયર ઓફિસરની 67 ટકા અપ્રમાણસર મિલકત મળી

ઉલ્લેખનીય છે કે આ મામલે TRP ગેમઝોનના માલિક અને ભાગીદાર મળી કુલ 7 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગેમઝોનના માલિક પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, ભાગીદાર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ, ધવલ ઠક્કર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પાંચેય આરોપી અલગ અલગ હિસ્સાના નફાના ભાગીદાર હતા. તેમાંથી હાલ ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

શું હતી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે સાંજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 27નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.