June 24, 2024

Ahmedabad એરપોર્ટ પરથી ઝડપાયેલા આતંકીઓની તપાસમાં મોટો ઘટસ્ફોટ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદ એરપોર્ટથી ઝડપાયેલા આતંકીઓની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. અમદાવાદમાં IS ના સ્લીપર સેલ સક્રિય થયા હોવાનો ખુલાસો થયો છે. પકડાયેલ આતંકીઓની મદદ IS સ્લીપર સેલ કરી રહ્યા હતા. સેન્ટ્રલ એજન્સી, તમિલનાડુ ATS અને સુરક્ષા એજન્સીઓ હાલમાં આ આતંકીઓની પૂછપરછ કરી રહ્યા છે. સ્લીપર સેલ દ્વારા હથિયારો નાના ચિલોડા કેવી રીતે પહોંચ્યા તેને લઈ ગુજરાત ATS તપાસ શરૂ કરી કરી છે.

ISના ચાર આતંકીઓના 14 દિવસના રિમાન્ડને લઈ ગુજરાત ATS એ પૂછપરછ શરૂ કરી છે. આ પૂછપરછ દરમિયાન ચારેય આતંકીની મદદ કરવા માટે ISના સ્લીપર સેલ સક્રિય હોવાનું તપાસમાં ખુલાસા થયા છે. જે અમદાવાદના નાના ચિલોડા નર્મદા કેનાલ નજીક હથિયારો છુપાવવા જવાબદારી સ્લીપર સેલ લીધી હોવાની આશંકા છે. પાકિસ્તાન મેડ હથિયાર સ્લીપર સેલ દ્વારા પહોંચાડવામાં આવ્યા અને સ્લીપર સેલે રેકી કર્યા બાદ આ લોકેશન પર હથિયાર મૂક્યા હતા. જે પ્રકારે હાઇવેનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેને જોતા સ્લીપર સેલ ગુજરાતના અથવા અન્ય રાજ્યોના હોવાની શક્યતા ગુજરાત ATS વ્યક્ત કરી છે. ત્યારે અમદાવાદ જ નહીં પણ શ્રીલંકામાં પણ IS સ્લીપર સેલ સક્રિય છે. જે ચારેય આતંકીઓને શ્રીલંકામાં લોકલ મદદ મળી હોવાનું તપાસમાં સામે આવ્યું છે કારણકે ચાર આતંકીઓ એક બીજાને ઓળખતા ન હતા. એટલું જ નહીં આતંકીઓનાં નવા મોબાઈલ અને શ્રીલંકા અને ભારતીય ચલણી નોટની વ્યવસ્થા સ્લીપર સેલ દ્વારા કરવામાં આવી હોવાની તપાસમાં સામે આવ્યું છે. જેથી ગુજરાત ATSએ શ્રીલંકા એમ્બેસી દ્વારા આતંકીઓની તમામ માહિતી શ્રીલંકા સરકારને પહોચાડતા ત્યાંની સુરક્ષા એજન્સી ISના નેટવર્કને લઈ તપાસમાં જોડાઈ છે.

આ પણ વાંચો: 50 વર્ષનો આધેડ 81 વર્ષના વૃદ્ધના નામે નકલી પાસપોર્ટ પર અમેરિકા ગયો અને પકડાઇ ગયો

ગુજરાત ATSની તપાસ ચાર આતંકી પૈકી બે આતંકી મોહમ્મદ નુસરથ અને મોહમ્મદ ફારીસ એકબીજા પરિચિત હતા અને આઠથી વધુ વખત ભારતમાં આવી ચૂક્યા છે. જ્યારે મોહમ્મદ નફરાન અને મોહમ્મદ રશદીન જે પાકિસ્તાની હેન્ડલર અબુના સંપર્કમાં હતા. અને અબુ પાકિસ્તાની દ્વારા ચારેય આતંકીઓને એક-બીજાના પરિચયમાં લાવ્યા બાદ શ્રીલંકાથી અમદાવાદ મિશન માટે મોકલ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ISની આતંકી તાલીમ માટે ફેબ્રુઆરીથી ટ્રેનિંગ ચાલુ થઈ હતી. જે ચાર મહિનાની ટ્રેનિંગ બાદ ચારેય આતંકીઓ સ્યુસાઈડ બોમ્બર બની આત્મઘાતી હુમલો કરવાના શપથ લીધા હતા. જે ISના ફ્લેગ સાથેનો એક વીડિયો બનાવીને પાકિસ્તાન હેન્ડલ અબુને મોકલ્યો હતો. જે બાદ આતંકી પ્રવુતિ માટે ચારેય આંતકવાદ ફેલાવા નીકળ્યા હોવાની તપાસમાં ખૂલ્યું છે. જ્યારે આતંકીઓ પાસે મળેલા બે મોબાઈલ ફોનને એફ.એસ.એલમાં મોકલવામાં આવ્યા છે ત્યારે આતંકી મોહમ્મદ નુસરથ દ્વારા ચેન્નઇ એરપોર્ટ પર વાઇફાઇનો ઉપયોગ કરીને પાકિસ્તાન હેન્ડલ અબુ સાથે વાતચીત કરી હતી. જેમાં સિગ્નલ એપ મારફતે વીડિયો કૉલમાં વાતચીત કરતા તેમજ આત્મઘાતી હુમલા માટેનાં ફોટો અને ડોક્યુમેન્ટ પ્રોટેન ઈમેલ દ્વારા મોકલવામાં આવતા હતા. આતંકીઓના ગુનાહિત ઇતિહાસની તપાસ કરતા સામે આવ્યું કે, મોહમ્મદ ફારીસ શ્રીલંકા કોલંબોમા ડ્રગ્સની હેરાફેરી કરે છે, મોહમ્મદ નુસરથ ગોલ્ડ સ્મલિંગ કરે છે જે ભારતમાં અનેક વખત આવી ચૂક્યો છે. ત્યારે મોહમ્મદ રશદીન વિરુદ્ધ શ્રીલંકામાં પાંચ જેટલા ગુના નોંધાયા છે.

નોંધનીય છે કે આતંકી પ્રવુતિને લઈને પૂછપરછ કરતા સામે આવ્યું કે, હમાસ અને ફિલીસ્પાઈનની ઘટના બાદ વધુ સક્રિય થયા છે. જેમાં ભારત અને US એ ઇઝરાયલને મદદ કરે છે. જેથી ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું હતું. ભારતની BJP સરકાર અને RSSનું વર્ચસ્વ હોવાના કારણે આત્મઘાતી હુમલા કરવાનો ટાર્ગેટ બનાવ્વ્યો હતો. હાલ ગુજરાત ATS ચારેય આતંકીઓની અલગ-અલગ પૂછપરછ કરી રહી છે. ગુજરાત ATS સાથે તમિલનાડુ ATS, NIA, સેન્ટ્લ IB અને જુદા જુદા રાજ્યની ATS પણ તપાસ કરવા પહોંચી છે. મહત્વનું છે કે ચારેય આતંકીઓની તપાસમાં ગુજરાત અને દેશમાં સક્રિય IS ના સ્લીપર સેલનો પર્દાફાશ થાય જેને લઇને ગુજરાત ATSની ટીમ ચેન્નઇ તપાસ કરવામાં જશે.