September 15, 2024

છત્તીસગઢમાં નક્સલીઓ સાથે અથડામણ, 9 માઓવાદી ઠાર મરાયા

Naxal Encounter: છત્તીસગઢના દંતેવાડા અને બીજાપુરના સરહદી વિસ્તારમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર સુરક્ષા દળોના જવાનોએ 9 નક્સલીઓને ઠાર કર્યા છે. ઘટનાસ્થળેથી માઓવાદીઓના મૃતદેહોની સાથે જ મોટા પ્રમાણમાં હથિયારો પણ મળી આવ્યા છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પશ્ચિમ બસ્તર ડિવિઝનમાં માઓવાદીઓ હોવાની માહિતી મળ્યા બાદ, પોલીસની સંયુક્ત ટીમ સર્ચ ઓપરેશન પર નીકળી હતી. 3 સપ્ટેમ્બરે સવારે સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોના જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. આ ફાયરિંગમાં સુરક્ષા દળોએ 9 માઓવાદીઓને ઠાર માર્યા હતા. છેલ્લે મળતી માહિતી મુજબ, હાલમાં ઘટનાસ્થળે સતત ફાયરિંગ ચાલી રહ્યું છે અને સૈનિકોએ મોરચો પકડી રાખ્યો છે.

નક્સલવાદીઓછુપાયા હોવાની મળી હતી બાતમી
મળતી માહિતી અનુસાર, જંગલ વિસ્તારમાં નક્સલવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાં જ દંતેવાડા અને બીજાપુર જિલ્લા પોલીસે અન્ય સુરક્ષા દળો સાથે મળીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હાલ ઘટના સ્થળે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ઠાર મારવામાં આવેલ નક્સલીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા હતા. તો, વધુમાં જાણવા મળી રહ્યું છે કે અથડામણમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓ ઘાયલ પણ થયા છે, જેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને વેપારીની આત્મહત્યા, બે આરોપીની ધરપકડ

29 ઓગસ્ટે ઠાર મરાયા હતા 3 નક્સલી
આ પહેલા, 29 ઓગસ્ટના રોજ નારાયણપુર-કાંકેર બોર્ડર પર નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં સુરક્ષા દળોએ 3 નક્સલીઓને ઠાર કર્યા હતા. ઓગસ્ટની શરૂઆતમાં પણ દંતેવાડા પોલીસને મોટી સફળતા મળી હતી. એન્કાઉન્ટરમાં એક હાર્ડકોર નક્સલી માર્યો ગયો. આ ઉપરાંત હથિયારો અને અન્ય વસ્તુઓ પણ મળી આવી હતી. આ માટે જવાનોએ વરસાદની મોસમમાં ફૂલી ગયેલી ઈન્દ્રાવતી નદી પાર કરી અને નક્સલવાદીઓના ઠેકાણા સુધી પહોંચી ગયા.