July 7, 2024

ગુજરાત કોંગ્રેસના ગઢમાં ગાબડું, વધુ એક દિગ્ગજ નેતાએ ફાડ્યો છેડો

congress arjun modhvadiya will join bjp soon

અર્જુન મોઢવાડિયા - ફાઇલ તસવીર

અમદાવાદઃ કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા ભાજપમાં જોડાશે. કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાવવાના છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે અંબરિશ ડેર ભાજપમાં જોડાવવાના છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં જ કોંગ્રેસના ગઢમાં વધુ એક ગાબડું પડ્યું છે.

કોંગ્રેસના નેતા અંબરિશ ડેર અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ વચ્ચે મુલાકાત થઈ છે. અંબરિશ ડેરના સાયન્સ સિટીમાં નિવાસસ્થાને 20 મિનિટ સુધી મુલાકાત ચાલી હતી. ત્યારબાદ અંબરિશ ડેરે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામુ આપી દીધું છે.

ડેર કોંગ્રેસની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા
બે દિવસ પહેલાં મળેલી કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં અંબરિશ ડેર ગેરહાજર રહ્યા હતા. ત્યારથી તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ થઈ રહી હતી. જો કે, આ અગાઉ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ તેમની સભામાં અંબરિશ ડેરને ભાજપમાં જોડવવા માટે જાહેરમાં આમંત્રણ પણ આપ્યુ હતું. તેમણે કહ્યુ હતુ કે, ‘અંબરિશ ડેર માટે મેં બસમાં રૂમાલ રાખી સીટ રોકી હતી, પણ તેઓ ગાડી ચૂકી ગયા હતા.’

પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પદે રહી ચૂક્યા છે મોઢવાડિયા
ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડીયા વર્ષ 2002થી 2012 સુધી પોરબંદર બેઠક પર ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે. ધારાસભ્ય ઉપરાંત દંડક તરીકે સારી કામગીરી કરતા પક્ષ દ્વારા અર્જુન મોઢવાડીયાને વિપક્ષ નેતાનું પદ આપ્યું હતું. ત્યારબાદ 2012ની ચૂંટણીમાં મોઢવાડીયા હારી જતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવામાં આવ્યા હતા. અર્જુનભાઇ મોઢવાડીયાને શાંત અને ધીરગંભીર સ્વભાવના માનવામાં આવે છે.

હાલ પોરબંદરથી ધારાસભ્ય છે
ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન પોરબંદરના વિકાસ માટે મિશન સિટી અંતર્ગત 872 કરોડની ખાસ ગ્રાન્ટ કોંગ્રેસના તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ પાસે મંજૂર કરાવી હતી. તેમજ પોરબંદર શહેર અને બાયપાસને જોડતો ફ્લાયઓવર બ્રિજ મંજૂર કરાવ્યો હતો. નવા એરપોર્ટ માટે અવારનવાર રજૂઆતો કરી નવા એરપોર્ટની કામગીરીઓ શરૂ કરવી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ તેઓ પોરબંદરના ધારાસભ્ય છે.

વિપક્ષના નેતાઓના નામ ચર્ચામાં
ઉલ્લેખનીય છે કે, 2024માં લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. જેને લઈને ભાજપ સહિતની તમામ પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે. ગુજરાતમાં પણ લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. તેવા સમયે ગુજરાતના ઘણા નામી વિપક્ષી નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ ગઈ છે. એક અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ ભાજપનો ખેસ ધારણ કરશે. જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ વિપક્ષી નેતા અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર સહિતના નેતાઓના નામ સામેલ છે.

ભાજપે લોકસભા ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી
લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ તમામ પક્ષો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી દેશના અલગ અલગ રાજ્યોમાં અમુક ઉમેદવારોના નામ જાહેર કરતી પહેલી યાદી બહાર પાડી છે. જેમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તેમાં 10 સાંસદને રિપિટ કરવામાં આવ્યા છે અને 5 નવા ઉમેદવારો પર બાજી લગાવવામાં આવી છે.