September 20, 2024

સ્વતંત્રતા દિવસ પહેલા હાઇએલર્ટ પર દિલ્હી-પંજાબ, જમ્મુથી વિસ્ફોટકો સાથે નીકળ્યા 2 શકમંદ

દિલ્હી: સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હીમાં હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. અહેવાલો મળી રહ્યા છે કે ગુપ્તચર એજન્સીઓને ઈનપુટ મળ્યા છે કે જમ્મુમાં સક્રિય આતંકવાદીઓ દિલ્હી અથવા તેની આસપાસના વિસ્તારોમાં આત્મઘાતી હુમલા કરવાની યોજના બનાવી રહ્યા છે. દિલ્હી ઉપરાંત પંજાબમાં પણ સુરક્ષા દળોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ગુપ્તચર એજન્સીઓએ આતંકવાદીઓ વચ્ચેની વાતચીતના આધારે ઇનપુટ આપ્યા છે. એજન્સીઓનું કહેવું છે કે એવું જરૂરી નથી કે આ હુમલો સ્વતંત્રતા દિવસના અવસર પર જ કરવામાં આવે. કારણ કે તે દિવસે દરેક જગ્યાએ ભારે સુરક્ષા જવાનો તૈનાત હોય છે, પરંતુ આતંકવાદીઓ એક-બે દિવસ પછી હુમલાને અંજામ આપી શકે છે.

રિપોર્ટ અનુસાર, સૂત્રોનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં જોવા મળેલા બે શકમંદોના દિલ્હી તરફ જવાની આશંકા છે. આ લોકો પાસે હથિયાર પણ છે. એવી આશંકા સેવવામાં આવી રહી છે કે આ લોકો પઠાણકોટ તરફ ગયા છે અને ત્યાંથી તેઓ દિલ્હી તરફ પણ આગળ વધી શકે છે. એટલું જ નહીં સુરક્ષા દળો અને એજન્સીઓને આશંકા છે કે આ આતંકવાદીઓ અમરનાથ યાત્રાને પણ ટાર્ગેટ કરી શકે છે. આ ઉપરાંત દિલ્હીની મહત્વની પ્રતિષ્ઠિત સંસ્થાઓને પણ નિશાન બનાવી શકે છે. મહત્વનું છે કે, છેલ્લા ઘણા વર્ષોમાં આતંકીઓ પર નિયંત્રણ કરવામાં સુરક્ષા દળો અને એજન્સીઓને સફળતા મળી રહી છે.

એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે આતંકીઓ ભારે ભીડવાળા વિસ્તારોને ટાર્ગેટ કરી શકે છે. વાસ્તવમાં, આ એલર્ટ એવા સમયે આપવામાં આવ્યું છે જ્યારે કાશ્મીરની સરખામણીમાં શાંત માનવામાં આવતા જમ્મુ ડિવિઝનમાં આતંકવાદીઓની ગતિવિધિઓ વધી છે. કઠુઆ, ડોડા, ઉધમપુર અને રાજૌરી જેવા જિલ્લાઓમાં આતંકવાદી હુમલાઓ વધ્યા છે. હવે એવી પણ આશંકા છે કે આ આતંકવાદીઓ પંજાબ અને દિલ્હી તરફ આગળ વધી શકે છે.

દિલ્હીમાં હુમલો કરીને આતંકવાદીઓ સંદેશ આપવા માંગે છે કે રાજધાની હવે તેમની પહોંચથી દૂર નથી. અગાઉ પણ ઘણી વખત ઇનપુટ્સ આવ્યા છે અને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો દિલ્હી પર હુમલાની યોજના બનાવી રહ્યા છે. દિલ્હી અને પંજાબ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં પણ સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે. લાલ ચોક જેવા વિસ્તારોમાં સુરક્ષા દળો એલર્ટ પર છે.