PNB કૌભાંડનો આરોપી મેહુલ ચોક્સી ઝડપાયો, બેલ્જિયમ પોલીસે કરી ધરપકડ

Mehul Choksi: બે અબજ ડોલરના પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના બે મુખ્ય આરોપીઓમાંથી એક ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. 2018 માં ભારત છોડીને ભાગી ગયા બાદ તેમને ન્યાય અપાવવાના વર્ષોથી ચાલી રહેલા પ્રયાસોમાં તેમની ધરપકડને એક મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર ચોક્સીને સીબીઆઈની વિનંતી પર ધરપકડ કરવામાં આવી હતી. હકીકતમાં, 2021 ના અંતમાં તે એન્ટિગુઆથી ભાગી ગયો. આ ભાગેડુ અંગે ભારતીય તપાસ એજન્સીઓ બે મહિનાથી બેલ્જિયમની એજન્સીઓના સંપર્કમાં હતી. ત્યારબાદ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભાગેડુ ચોક્સી હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ખરાબ સ્વાસ્થ્ય અને અન્ય કારણોસર જામીન માંગી શકે છે.
મેહુલ ચોક્સી અને તેમના ભત્રીજા નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં તેમની કથિત ભૂમિકાનો આરોપ છે, જ્યાં તેમના પર બેંક સાથે રૂ. 13,850 કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે. મુંબઈની એક કોર્ટે મેહુલ ચોક્સી વિરુદ્ધ બે ઓપન-એન્ડેડ ધરપકડ વોરંટ જારી કર્યા છે. પહેલું વોરંટ 23 મે 2018 ના રોજ જારી કરવામાં આવ્યું હતું અને બીજું વોરંટ 15 જૂન 2021 ના રોજ જારી કરવામાં આવ્યું હતું. આ વોરંટ પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના સંદર્ભમાં જારી કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: 1800 કરોડની કિંમતનું 300 કિલો ડ્રગ્સ ઝડપાયું, ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની મોટી કાર્યવાહી
બેલ્જિયમમાં રહેવા માટે પરવાનગી માંગવામાં આવી હતી
અગાઉ, ભાગેડુ ઉદ્યોગપતિએ 15 નવેમ્બર, 2023 ના રોજ બેલ્જિયમમાં રહેવાની પરવાનગી માંગી હતી. ભારતમાંથી ભાગી ગયા પછી બેલ્જિયમ જતા પહેલા તે એન્ટિગુઆ અને બાર્બુડામાં રહેતો હતો. તેમની પત્ની પ્રીતિ ચોક્સી બેલ્જિયમની નાગરિક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેહુલ ચોકસીએ બેલ્જિયમમાં રહેવા માટે ‘એફ રેસીડેન્સી કાર્ડ’ મેળવ્યું હતું.