May 18, 2024

Gandhinagar : પ્રશ્નોત્તરી દરમિયાન અધ્યક્ષ શંકર ચૌધરીએ નીતિન પટેલને યાદ કર્યા

SHANKAR - NEWSCAPITAL

વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ગૃહના અધ્યક્ષ શંકર ચૌધરીએ પૂર્વ મંત્રી નીતિન પટેલને યાદ કર્યા હતા. વાસ્તવમાં કોંગ્રેસ ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ વીજળીના દરને લઈને ગૃહમાં પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ કનુ દેસાઇ આપી રહ્યા હતા, દરમિયાન અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમના જવાબ પર ટિપ્પણી કરતાં પૂર્વ મંત્રી નીતિન પટેલને યાદ કર્યા હતા.

વીજળી ખરીદીનો પ્રશ્ન 17 મિનિટ ચાલ્યો !

પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પૂર્વ મંત્રી નીતિન પટેલ ગૃહમાં હાજર નથી તેમ છતાંય તેમની કામગીરી અને તેમના જવાબ આપવાની રીતને આજે ગૃહમાં યાદ કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા અદાણી પાસેથી વીજળી ખરીદવાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જે એક કલાકની પ્રશ્નોતરીમાં 17 મિનિટ સુધી ચાલ્યો હતો. આ પ્રશ્નનો જવાબ આપતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈની પદ્ધતિ બીજા મંત્રી કરતા અલગ હતી. તેઓ જ્યારે જવાબ આપી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો અમિત ચાવડા, શૈલેષ પરમાર, અર્જુન મોઢવાડિયા જેવા દિગજ્જોએ મંત્રી કનુ દેસાઈ સામે પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. ત્યારે આ દરમિયાન અધ્યક્ષ શંકર ચૌધરીએ દેસાઈના જવાબ પર ટિપ્પણી કરી હતી.SHANKAR - NEWSCAPITAL

આ પણ વાંચો : Gujarat : છેલ્લા પાંચ વર્ષમાં 555 સિંહોના મોત, મૃત્યુદરમાં કોઈ વધારો નહી

અધ્યક્ષે નીતિન પટેલને યાદ કર્યા 

મળતી માહિતી મુજબ, અધ્યક્ષ શંકર ચૌધરી આડકતરી રીતે ઉર્જા મંત્રી કનુ દેસાઈના બચાવમાં ઉતર્યા હતા. અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યુ કે, નીતિનભાઇ આજે હોત તો શું થાત વિચારો ? તમારે આ વાતને મૂકવી જોઇતી હતી કે, રાજ્યનો જે રીતે વિકાસ થયો છે એ જોતા 10 વર્ષે જે કૃષિ જોડાણ મળતા હતા એ હવે છ મહિનામાં જ મળે છે. એટલે વીજ વપરાશ વધ્યો એમ વીજ ખરીદી પણ વધી છે, એટલો તમારે જવાબ આપવાનો છે. આમ અધ્યક્ષ શંકર ચૌધરીએ પૂર્વ મંત્રી નીતિન પટેલને યાદ કરી આડકતરી રીતે મંત્રી કનુ દેસાઈનો બચાવ કર્યો હતો.