August 7, 2024

કરોડો કર્મચારીઓ માટે સારા સમાચાર, પેન્શનમાં અડધો પગાર આપવાની તૈયારી કરી રહી છે સરકાર!

NPS in Budget 2024: વિપક્ષ લાંબા સમયથી જૂની પેન્શન યોજના (Old Pension Scheme)નું સમર્થન કરી રહ્યો છે. ઘણા રાજ્યોમાં વિપક્ષની સરકારોએ પણ જૂની પેન્શન યોજના પાછી લાવવાનું વચન આપ્યું છે. મોદી સરકાર કર્મચારીઓને વધુ પેન્શન આપવા માટે નેશનલ પેન્શન સ્કીમ એટલે કે NPSમાં ફેરફારની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી છે. હવે એવી આશા છે કે સરકાર 23 જુલાઈએ રજૂ થનારા બજેટમાં આને લગતી મોટી જાહેરાત કરી શકે છે. સરકાર એનપીએસમાં ગેરંટેડ વળતર ઓફર કરી શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના છેલ્લા પગારના 50 ટકા પેન્શન તરીકે આપવાનું વચન આપવામાં આવી શકે છે.

વર્તમાન સ્કીમમાં પણ 25-30 વર્ષથી રોકાણ કરનારા કર્મચારીઓને સારું વળતર મળી રહ્યું છે. ખાસ કરીને એવા કર્મચારીઓ કે જેમની 2004 પછી ભરતી કરવામાં આવી છે. અહેવાલ મુજબ, સોમનાથન સમિતિએ પેન્શનની આંતરરાષ્ટ્રીય પ્રથા તેમજ આંધ્ર પ્રદેશ સરકારની પેન્શન નીતિનો અભ્યાસ કર્યો છે. આ સમિતિએ ખાતરીપૂર્વકના વળતરની અસરનું મૂલ્યાંકન કર્યું છે.

ગયા વર્ષે સોમનાથન સમિતિની રચના કરવામાં આવી હતી
NPSને આકર્ષક બનાવવા માટે સરકાર લાંબા સમયથી પગલાં લઈ રહી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના છેલ્લા પગારના 50 ટકા પેન્શન તરીકે મળવું જોઈએ કે કેમ તે અંગે સરકાર ગંભીરતાથી વિચાર કરી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની જાહેરાત બાદ વર્ષ 2023માં નાણાં સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી.

આ સમિતિનો આદેશ જૂની પેન્શન યોજનાને પાછી લાવ્યા વિના NPS હેઠળ પેન્શન લાભોને સુધારવાના માર્ગો શોધવાનો છે. ગત વર્ષે કોંગ્રેસ દ્વારા ઘણા રાજ્યોમાં જૂની પેન્શન યોજના પાછી લાવવાની જાહેરાત બાદ આ સમિતિની રચના કરવામાં આવી હતી. ત્યારે કેન્દ્ર સરકારે જૂની પેન્શન સ્કીમ પરત કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

OPS અને NPS વચ્ચેનો તફાવત
જૂની પેન્શન યોજનામાં, સરકારી કર્મચારીઓને તેમના છેલ્લા પગારનો અડધો ભાગ પગાર પંચની ભલામણો સાથે પેન્શન તરીકે એડજસ્ટ કરવામાં આવે છે. જૂની પેન્શન યોજનામાં, કર્મચારીઓએ પેન્શન માટે કોઈ યોગદાન આપવું પડતું નથી. જ્યારે રાષ્ટ્રીય પેન્શન યોજના યોગદાન આધારિત પેન્શન યોજના છે. આમાં, કર્મચારીએ તેના મૂળ પગારના 10 ટકા અને સરકાર 14 ટકા રકમનું યોગદાન આપે છે. આ રકમ રોકાણના વિવિધ વિકલ્પોમાં રોકાણ કરવામાં આવે છે અને તેમાંથી કર્મચારીને પેન્શન મળે છે.