February 23, 2025

મહેસૂલ વિભાગ માટે કુલ 5427 કરોડની જોગવાઈ, જાણો કઈ કઈ જાહેરાત કરી

Gujarat Budget 2025: નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં આજે વર્ષ 2025-26 માટે બજેટ રજૂ કર્યું હતું. તેમાં દરેક વિભાગની જાહેરાત કરવામાં આવી છે. આવો જાણીએ મહેસૂલ વિભાગ માટે શું જાહેરાત કરવામાં આવી છે.

  • મહેસૂલી સેવાઓ નાગરિકોને સરળતાથી અને ત્વરિત મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂત દ્વારા તેની એકમાત્ર બચત રહેતી ખેતીની જમીન પણ જો બિનખેતી કરાવે તો પણ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે તેવો પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.

    રાજ્યમાં સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં 7221 ગામોના 12 લાખથી વધુ મિલકતોના પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરી સમગ્ર દેશમાં ફેઝ-2માં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે.

  • સાબરકાંઠાના હિંમતનગર ખાતે નવી કલેક્ટર કચેરી અને વેરાવળ, પોરબંદર, દ્વારકા, ભચાઉ, વઢવાણ, બાયડ, આંકલાવ, સોજીત્રા, નડિયાદ, લુણાવાડા, જલાલપોર, સાગબારા અને ઉમરપાડા ખાતે નવા મહેસૂલી ભવનોના બાંધકામ કરવામાં આવશે.
  • અંજાર-કચ્છ અને ઊંઝા-મહેસાણા ખાતે સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની નવી કચેરીઓના બાંધકામ કરવામાં આવશે.
  • અમદાવાદ શહેર, સાણંદ, દેત્રોજ, રાધનપુર, રાજકોટ શહેર, લોધિકા, મોરબી, અંકલેશ્વર અને ઉમરગામ ખાતે નવી સબ-રજિસ્ટ્રાર કચેરીઓના બાંધકામ માટે 66 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગથી મહેસૂલી સેવાઓના વિવિધ પોર્ટલના અપગ્રેડેશન અને આઇ.ટી. સાધન-સામગ્રીની ખરીદી માટે 87 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • નાગરિકોને મહેસૂલી સેવાઓ ઝડપી પૂરી પાડવા વિવિધ કચેરીઓ માટે 230 નવી જગ્યાઓ ઊભી કરવા 15 કરોડની જોગવાઈ કરી છે.
  • રાજ્ય આપત્તિશમન નિધિમાંથી ઇમરજન્સી રિસ્પોન્સ માટે પૂર નિયંત્રણ અને ફાયરને લગતા સાધનોની ખરીદી સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 429 કરોડની જાહેરાત કરવામાં આવી છે.