ગુજરાતમાં ભરઉનાળે ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યારે પડશે માવઠું

અમદાવાદઃ ગુજરાતમાં લૂ ઝરતો તાપ પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં વાતાવરણ અંગે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જેમાં ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે.
હવામાન વિભાગે ભરઉનાળે રાજ્યમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા માવઠું પડે તેવી શક્યતા છે. આગામી 31 માર્ચથી 2 એપ્રિલ સુધી માવઠાંની આગાહી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં હળવા વરસાદી ઝાપડાં પડે તેવી શક્યતા છે. 31 માર્ચે નર્મદા અને તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત 1 એપ્રિલે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, નર્મદા, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડમાં પણ ગાજવીજ સાથે છૂટાંછવાયાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 2 એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાંછવાયાં વરસાદની આગાહી છે.