February 28, 2025

એક જ દિવસમાં પોક્સો અંતર્ગત 7 બળાત્કારીને આજીવન કેદ, પોલીસ ટીમના અધિકારી-કર્મચારીઓને અભિનંદનઃ હર્ષ સંઘવી

ગાંધીનગરઃ ગુજરાતમાં પોક્સો કલમ અંતર્ગત થતી કાર્યવાહીમાં એક જ દિવસે 7 પીડિતાઓને ન્યાય મળ્યો છે. 25મી ફેબ્રુઆરીએ અમરેલી, વડોદરા અને રાજકોટની પીડિતાના 7 કેસમાં 7 આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ત્યારે આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં કહ્યુ છે કે, ‘પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે.’

અમરેલીના બે કેસોમાં આરોપી પકડ્યાના માત્ર 17 દિવસમાં ચાર્જશીટ કરી અને ત્રીજા કેસમાં તે જ દિવસે આરોપીની ધરપકડ કરી હતી. તો રાજકોટ શહેરમાં રેપ વિથ મર્ડર કેસમાં પોલીસે 40 દિવસમાં જ ચાર્જશીટ કરી હતી. રાજકોટ ગ્રામ્ય પોલીસે પાટણવાવ કેસમાં બનાવના દિવસે જ આરોપી પકડ્યો અને ભાયાવદર કેસમાં 7 દિવસમાં ચાર્જશીટ કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં પોક્સો કેસમાં 3 વર્ષમાં નામદાર કોર્ટે 947 ચુકાદાઓમાં કડક કેદની સજા કરી છે. જેમાં 574 આજીવન કેદ અને 11ને ફાંસીની સજા આપવામાં આવી છે.

રાજ્યમાં મહિલાઓ અને બાળકો પર અત્યાચાર, શોષણ અને દુષ્કર્મના બનાવો પર સદંતર અંકુશ લાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રકારના ગુનાઓમાં પીડિતા સાથે વિશેષ સંવેદના અને કાળજી રાખીને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા ઠોસ પુરાવાઓ સાથે મજબૂત કેસ બનાવવા ગુજરાત પોલીસને આદેશ કર્યો છે. ગુજરાત પોલીસ તે જ દિશામાં મક્કમતાથી આગળ વધી રહી છે. તેનું પરિણામ આરોપીઓને મળી રહેલી કડક સજાના ચુકાદાઓમાં જોઈ શકાય છે.

એક જ દિવસે તારીખ 25 ફેબ્રુઆરી 2025ના રોજ પોક્સો કેસમાં અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લામાં નામદાર કોર્ટે સાત મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે. જેમાં સાતેય બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટકારતા અમરેલી, વડોદરા અને રાજકોટની સાત અલગ-અલગ પીડિતાઓને ન્યાય મળ્યો છે.

અમરેલી, વડોદરા અને રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સગીરા પર દુષ્કર્મ-પોક્સોના જુદા-જુદા ગંભીર કેસમાં કરવામાં આવેલી બારીક તપાસ, એકત્ર કરેલા ટેક્નિકલ સહિતના પુરાવા, સરકારી વકીલની અસરકારક દલીલો અને એફએસએલ રિપોર્ટના આધારે સાત જુદા-જુદા પોક્સોના બનાવોમાં સાતેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જેમાં અમરેલીના બે કેસોમાં આરોપી પકડ્યાના માત્ર 17 દિવસમાં ચાર્જશીટ અને ત્રીજા કેસમાં પોલીસે તે જ દિવસે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે રાજકોટ શહેરમાં રેપ વિથ મર્ડર કેસમાં પોલીસે 40 દિવસમાં જ ચાર્જશીટ કરી હતી.

બીજી તરફ રાજકોટ ગ્રામ્ય પોલીસે પાટણવાવ કેસમાં બનાવના દિવસે જ આરોપી પકડ્યો અને ભાયાવદર કેસમાં 7 દિવસમાં ચાર્જશીટ કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લાના આ સાતેય કેસમાં તપાસ કરનારી પોલીસ ટીમના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવતા કહ્યુ છે કે, પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા આવા ગુનાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે. નોંધનીય બાબત છે કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં પોક્સો કેસમાં 3 વર્ષમાં નામદાર કોર્ટે 947 ચુકાદાઓમાં કડક કેદની સજા કરી છે. તે પૈકી 574ને આજીવન કેદ અને 11ને ફાંસીની સજા કરી છે.