October 25, 2024

‘પદયાત્રા દરમિયાન કેજરીવાલ પર હુમલાનો પ્રયાસ’, AAPએ BJP પર લગાવ્યો આરોપ

Kejriwal Was Attacked During Padyatra: આમ આદમી પાર્ટીએ આરોપ લગાવતા કહ્યું કે ભાજપના ગુંડાઓએ પદયાત્રા દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પાર્ટીએ કહ્યું કે જો કેજરીવાલને કંઈ થશે તો તેની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની રહેશે. પાર્ટીએ આરોપ લગાવ્યો, વિકાસપુરીમાં તેમની પદયાત્રા દરમિયાન કેજરીવાલ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ અંગે દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા કહ્યું કે, ‘જેલમાં પણ વાત ન બની તો હવે ભાજપવાળાઓએ અરવિંદ કેજરીવાલ પર હુમલાઓ કરાવી રહ્યા છે. જો કેજરીવાલને કંઈ પણ થશે તો, તેની જવાબદાર ભાજપ હશે.

બીજી તરફ, પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે પણ કેજરીવાલ પર હુમલાનો આરોપ લગાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો, જેમાં તેણે લખ્યું, ભાજપના લોકો અરવિંદ કેજરીવાલ જીના જીવના દુશ્મન બની ગયા છે. પહેલા તેઓએ ED-CBIનો ઉપયોગ કરીને ખોટા કેસ દાખલ કર્યા, તેમને જેલમાં ધકેલી દીધા, ઇન્સ્યુલિન બંધ કરી, તેમને મારવાનો પ્રયાસ કર્યો અને હવે ભાજપના ગુંડાઓએ અરવિંદ કેજરીવાલ પર હુમલો કર્યો. ભાજપ કેજરીવાલને ખતમ કરવા માંગે છે. જો અરવિંદ કેજરીવાલને કંઈ થશે તો તેની જવાબદારી ભાજપની રહેશે.

નોંધનીય છે કે, આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શહેરભરમાં પદયાત્રા કરી રહ્યા છે અને જનસભાઓને સંબોધિત કરી રહ્યા છે.