July 7, 2024

ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રપતિના ખાસ બોડીગાર્ડ વિશે જાણો…

ભારત આજે તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. આ પ્રસંગે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ભારતના મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ભારત અને ફ્રાન્સના રાષ્ટ્રપતિઓ ‘પરંપરાગત બગ્ગી’માં કર્તવ્ય માર્ગેના સમારોહમાં પહોંચ્યા હતા. આ પ્રથા 40 વર્ષના અંતરાલ પછી ફરી લાવવામાં આવી રહી છે. બંને દેશોના વડાઓને પ્રેસિડેન્ટ બોડીગાર્ડ દ્વારા એસ્કોર્ટ કરવામાં આવશે.

આ પ્રજાસત્તાક દિવસ આ રેજિમેન્ટ માટે એ અર્થમાં પણ ખાસ છે કે તેણે ‘રાષ્ટ્રપતિના બોડી ગાર્ડ’ તરીકે સેવાના 250 વર્ષ પૂર્ણ કર્યા છે. રાષ્ટ્રપતિના અંગરક્ષક એ પસંદ કરવામાં આવેલા ઘોડેસવારોની ટુકડી હોય છે. વરિષ્ઠતાના સંદર્ભમાં રાષ્ટ્રપતિના અંગરક્ષક ભારતીય સેનાના એકમોમાં સૌથી વરિષ્ઠ રેજિમેન્ટ છે. તેમનું મુખ્ય કામ ભારતના રાષ્ટ્રપતિને એસ્કોર્ટ અને રક્ષણ આપવાનું છે. ભારતીય સેનાની આ સૌથી જૂની રેજિમેન્ટ છે.

રાષ્ટ્રપતિના અંગરક્ષકનો ઇતિહાસ
રાષ્ટ્રપતિના અંગરક્ષકની રચના ગવર્નર-જનરલના અંગરક્ષકો તરીકે કરવામાં આવી હતી. બ્રિટિશ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગને તેમની સુરક્ષા માટે 1773માં બનારસમાં ઘોડેસવારની એક ટુકડીની રચના કરી હતી. આ પહેલા ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સેનામાં કોઈ અશ્વદળ નહોતું. હેસ્ટિંગ્સે પોતે મુઘલ હોર્સમાંથી 50 સૈનિકોની પસંદગી કરી હતી, જે સ્થાનિક સરદારો દ્વારા રચાયેલ એકમ હતું. બાદમાં બનારસના રાજાએ તત્કાલીન ગવર્નર જનરલને વધારાના 50 સૈનિકો પૂરા પાડ્યા. જે બાદ યુનિટની કુલ સંખ્યા 100 થઈ ગઈ. કેપ્ટન સ્વીની ટૂનને યુનિટનો પ્રથમ કમાન્ડર બનાવવામાં આવ્યો હતો. સ્વીની ટૂન ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારી હતા. યુનિટનો બીજો ક્રમ લેફ્ટનન્ટ સેમ્યુઅલ બ્લેક હતો.

તેઓ કેવી રીતે પસંદ કરવામાં આવે છે?
1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે રાષ્ટ્રપતિના અંગરક્ષકનું પણ વિભાજન થયું હતું. ભારતે 1950માં આ રેજિમેન્ટનું નામ ગવર્નર જનરલના બોડીગાર્ડથી બદલીને રાષ્ટ્રપતિના બોડીગાર્ડ કરી દીધું. હાલમાં આ ઘોડેસવાર એકમમાં રાષ્ટ્રપતિ ભવનમાં સમારંભો માટે ઘોડાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ એકમમાં BTR-80 વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રેજિમેન્ટના જવાનોને પેરાટ્રૂપર તરીકે તાલીમ આપવામાં આવી છે. રાષ્ટ્રપતિના અંગરક્ષક તરીકે વિશેષ શારીરિક લાક્ષણિકતાઓ ધરાવતા પુરુષોને જ પસંદ કરવામાં આવે છે.

સિલ્વર ટ્રમ્પેટ બેનર પ્રસ્તુતિ સમારોહ
પ્રેસિડેન્ટ બોડીગાર્ડને હજુ એક અનોખી વિશિષ્ટતા છે. વાસ્તવમાં તે ભારતીય સેનાનું એકમાત્ર સૈન્ય એકમ છે જેને રાષ્ટ્રપતિનું સિલ્વર ટ્રમ્પેટ અને ટ્રમ્પેટ બેનર લઈ જવાનો વિશેષાધિકાર છે. દેશના દરેક રાષ્ટ્રપતિ તેમના કાર્યકાળ દરમિયાન એકવાર સિલ્વર ટ્રમ્પેટ સમારોહનો ભાગ બને છે, જ્યારે તેઓ તેમના અંગરક્ષકને સિલ્વર ટ્રમ્પેટ અને ટ્રમ્પેટ બેનર આપે છે. આ સમારંભને સિલ્વર ટ્રમ્પેટ બેનર પ્રેઝન્ટેશન સેરેમની કહેવામાં આવે છે. અત્યાર સુધી દેશના 13 રાષ્ટ્રપતિ આ સમારોહનું આયોજન કરી ચુક્યા છે.

રાષ્ટ્રપતિ દ્વારા ટ્રમ્પેટ અને ટ્રમ્પેટ બેનર આપવાની શરૂઆત 1923 માં થઈ હતી. તત્કાલિન વાઈસરોય લોર્ડ રીડિંગે તેમને પ્રેસિડેન્શિયલ બોડીગાર્ડની સેવાના 150 વર્ષ પૂરા થવાના અવસર પર સિલ્વર ટ્રમ્પેટ અને ટ્રમ્પેટ બેનરથી નવાજ્યા હતા. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે 14 મે, 1957ના રોજ ‘પ્રેસિડેન્ટના બોડીગાર્ડ’ને તેમનું સિલ્વર ટ્રમ્પેટ અને ટ્રમ્પેટ બેનર અર્પણ કર્યું હતું.