July 8, 2024

મુકેશ અંબાણી દેશનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં! રિલાયન્સની AGMમાં થઈ શકે છે ​​જાહેરાત

નવી દિલ્હી: ભારત અને એશિયાના સૌથી મોટા અમીર વ્યક્તિ મુકેશ અંબાણી દેશનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં છે. રિલાયન્સ જિયો ઈન્ફોકોમે તાજેતરમાં મોબાઈલ ટેરિફમાં વધારો કર્યો છે. ઉપરાંત કંપની તેના 5G બિઝનેસને આગળ વધારવા તરફ વધી રહી છે. નિષ્ણાતો કહે છે કે આ એક સંકેત હોઈ શકે છે કે રિલાયન્સ જિયો IPO લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હોઈ શકે છે. કેટલાક વિશ્લેષકોનું કહેવું છે કે કંપનીનો IPO આવતા વર્ષની શરૂઆતમાં આવી શકે છે. વિશ્લેષકો અને ઉદ્યોગ જગતના લોકોને આશા છે કે આગામી મહિને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સંભવિત એજીએમમાં ​​Jioના IPO અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.

અમેરિકન કંપની વિલિયમ ઓ’નીલ એન્ડ કંપનીના ભારતીય યુનિટના ઇક્વિટી રિસર્ચના વડા મયુરેશ જોશીએ જણાવ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીના બહુપ્રતિક્ષિત IPO માટે તબક્કો તૈયાર થઈ ગયો છે. જોશી અને અન્ય વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે ટેરિફમાં વધારો અને 5G બિઝનેસથી આગામી ક્વાર્ટરમાં જિયોની વપરાશકર્તા દીઠ સરેરાશ આવક (ARPU)માં વધારો થશે. આ શેર વેચાણ પહેલાં સંભવિત રોકાણકારો માટે વધુ આકર્ષક બનાવશે. બ્રોકરેજ ફર્મ જેફરીઝે જણાવ્યું હતું કે તે RILની આગામી AGMમાં Jioના લિસ્ટિંગ અંગેના કોઈપણ વિકાસ પર નજર રાખશે. બ્રોકરેજે જણાવ્યું હતું કે મુદ્રીકરણ પર વધતું ધ્યાન એ સંકેત છે કે કંપની ટૂંક સમયમાં લિસ્ટેડ થઈ શકે છે.

આ પણ વાંચો: કોણ છે ઋષિ સુનકની ખુરશી છીનવી લેનાર કીર સ્ટાર્મર, બની શકે છે બ્રિટિશ પીએમ

IPO ની કિંમત કેટલી હોઈ શકે?
જિયોએ મીડિયાની ટિપ્પણીના અનુલોધમાં કોઈ જવાબ આપ્યો નથી. જેફરીઝના જણાવ્યા અનુસાર, ટેરિફ અને મુદ્રીકરણમાં તાજેતરના વધારા પછી, Jioનું મૂલ્ય આશરે $ 133 બિલિયન (₹11.11 લાખ કરોડ) છે. આ મૂલ્યાંકન પર, Jioનો IPO દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો ઇશ્યૂ બની શકે છે. વર્તમાન નિયમો અનુસાર, રૂ. 1 લાખ કરોડ કે તેથી વધુનું મૂલ્યાંકન ધરાવતી કંપનીઓએ IPOમાં ઓછામાં ઓછો 5% હિસ્સો વેચવો પડશે. મતલબ વર્તમાન મૂલ્યાંકનના આધારે, Jioના શેરનું વેચાણ રૂ. 55,500 કરોડનું હોઈ શકે છે. ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO LICનો છે. વર્ષ 2022માં કંપનીએ ₹21,000 કરોડનો ઇશ્યૂ રજૂ કર્યો હતો. હ્યુન્ડાઈ મોટરના ભારતીય યુનિટે ગયા મહિને 17.5% હિસ્સો વેચીને ₹25,000 કરોડ એકત્ર કરવા IPO માટે સેબીની મંજૂરી માંગી હતી.

ટેરિફ ફરી વધશે
વિશ્લેષકોના મતે PE કંપનીઓ IPO દ્વારા Jioમાં તેમનો હિસ્સો વેચી શકે છે. સાનફોર્ડ સી બર્નસ્ટીને એક અહેવાલમાં જણાવ્યું હતું કે PE રોકાણકારો માટે લાક્ષણિક હોલ્ડિંગ સમયગાળો લગભગ ચાર વર્ષ છે. નિષ્ણાતો કહે છે કે Jioનો IPO નાણાકીય સ્થિતિમાં સુધારા સાથે આવી શકે છે. તાજેતરના ટેરિફ વધારાથી પ્રોત્સાહિત, કેટલાકને આશા છે કે આવતા વર્ષે ટેરિફમાં વધારાનો બીજો રાઉન્ડ આવી શકે છે. જેફરીઝનો અંદાજ છે કે જિયોની આવક અને નફો નાણાકીય વર્ષ 2024-2027 થી વાર્ષિક ધોરણે 18-26% વધી શકે છે.