July 1, 2024

નર્મદામાં ન્હાવા પડેલા 8 પ્રવાસીઓ ડૂબ્યાં, એકને રેસ્ક્યૂ કરી બચાવ્યો

નર્મદાઃ સુરતથી પોઇચા પ્રવાસે આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા માટે પડ્યા હતા અને ત્યારે ડૂબવા લાગ્યા હતા. આસપાસ રહેલા લોકોને ધ્યાને પડતા તેમાંથી એક વ્યક્તિને રેસ્ક્યૂ કરી તેને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય 7 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, સુરતમાં રહેતા 8 પ્રવાસીઓ પોઇચા નદીમાં ડૂબ્યા હતા. નર્મદા નદીમાં ન્હાવા પડ્યા હતા ત્યારે તેમની સાથે દુર્ઘટના બની હતી. ત્યારે 3 બાળકો સહિત કુલ 8 લોકો નર્મદા નદીમાં ડૂબ્યા હતા. સ્થાનિકોએ એક વ્યક્તિને ડૂબતા બચાવ્યો હતો. જ્યારે આ ઘટનાની જાણ થતા જ રાજપીપળા ટાઉન પોલીસ સહિત ફાયર વિભાગે તમામ ડૂબેલા લોકોની શોધખોળ હાથ ધરી હતી.

ડૂબેલાં લોકોનાં નામ

  • ભરત મેઘા બલદાળીયા
  • આરનવ ભરત બલદાળીયા – 45 વર્ષ
  • આર્ણવ ભરતભાઈ – 12 વર્ષ
  • મેત્રક્ષ ભરત બલદાળીયા – 15 વર્ષ
  • વ્રજ હિંમતભાઈ ભરત બલદાળીયા – 11 વર્ષ
  • આર્યન રાજુભાઈ જીંજાળા – 7 વર્ષ
  • ભાર્ગવ અશોકભાઈ હદિયા – 15 વર્ષ
  • ભાવેશ વલ્લભ હદિયા – 15 વર્ષ

દાંડીના દરિયામાં પણ બની હતી દુર્ઘટના
દાંડીના દરિયાકિનારે મોટી દુર્ઘટના બની હતી. જેમાં એક જ પરિવારના 6 લોકો દરિયામાં ડૂબી ગયા હતા. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ સહિત અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. દાંડીના દરિયાકિનારે રજાની મજા માણવા ગયેલા નવસારી પરિવારના 6 લોકો ડૂબ્યા હતા. નવસારીના ખડસુપા ગામે રહેતા પરિવારો રવિવારની રજા માણવા દાંડી ગયા હતા. ત્યારે ડૂબેલામાંથી 2 લોકોને હોમ ગાર્ડ અને પોલીસે રેસ્ક્યૂ કરીને બચાવ્યા હતા. જ્યારે અન્ય 2 મહિલા અને 2 પુરુષ દરિયામાં ગરકાવ થઈ જતા સ્થાનિક તરવૈયાઓની મદદથી તેમની શોધખોળ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ અનેક લોકોની દરિયામાં ડૂબી જવાની ઘટના સામે આવી છે.