July 2, 2024

Delhi કોર્ટે AAP નેતા Atishiને સમન્સ પાઠવ્યું, 29 જૂને હાજર થવા જણાવ્યું

નવી દિલ્હીઃ દિલ્હીની એક અદાલતે દિલ્હી ભાજપના મીડિયા વડા પ્રવીણ શંકર કપૂર દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દિલ્હીના મંત્રી અને AAP નેતા આતિશીને સમન્સ પાઠવ્યું છે. આતિશીને 29 જૂને કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટે આતિશીના આરોપોની નોંધ લીધી છે, જેમાં તેમણે કહ્યું હતું કે, ભાજપે AAP ધારાસભ્યોને લાંચ આપીને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારપછી બીજેપી નેતા પ્રવીણ શંકર કપૂરે AAP નેતા આતિશી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પ્રવીણ શંકર કપૂરે માનહાનિના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ પણ લીધું હતું. ભાજપના નેતાએ દાવો કર્યો હતો કે, આવા આરોપોથી તેમની અને તેમની પાર્ટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. આ આરોપોની નોંધ લેતા કોર્ટે આતિશીને આરોપી તરીકે ગણાવ્યા હતા અને તેમને 29 જૂને હાજર થવાનો આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બીજેપી નેતાએ 30 એપ્રિલના રોજ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, AAP નેતા તેમના ખોટા દાવાઓને સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયા હતા. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી તેમની અરજીમાં પ્રવીણ કપૂરે અરવિંદ કેજરીવાલની એક સોશિયલ મીડિયા પોસ્ટનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં AAP સુપ્રીમોએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપે AAPના સાત ધારાસભ્યોનો સંપર્ક કર્યો હતો અને પક્ષ બદલવા માટે 25 કરોડ રૂપિયાની ઓફર કરી હતી.

તેમણે આતિશીના દાવાને પણ ટાંક્યો હતો કે, તેમને તેમની રાજકીય કારકિર્દી બચાવવા માટે ભાજપમાં જોડાવાની ઓફર મળી હતી. આ ઉપરાંત આતિશી વતી કહેવામાં આવ્યું હતું કે, જો તે આવું નહીં કરે તો તેની ED દ્વારા ધરપકડ કરવામાં આવશે.

આતિશીએ એપ્રિલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘ભાજપે ખૂબ જ નજીકના વ્યક્તિ દ્વારા મારો સંપર્ક કર્યો છે. તેમણે મને ભાજપમાં જોડાવવાનું કહ્યું છે અને કહ્યું છે કે આ પગલું મારી રાજકીય કારકિર્દી બચાવશે. તેમણે ધમકી આપી છે કે, જો હું ભાજપમાં નહીં જોડાઉં તો ED એક મહિનામાં મારી ધરપકડ કરશે.’

નોંધનીય છે કે, AAP નેતાએ એવો પણ દાવો કર્યો હતો કે, તેમની સાથે પાર્ટીના સાથીદારો સૌરભ ભારદ્વાજ, રાઘવ ચઢ્ઢા અને દુર્ગેશ પાઠકની આગામી બે મહિનામાં ધરપકડ કરવામાં આવશે. તેમની અરજીમાં બીજેપી નેતાએ ટીવી અને સોશિયલ મીડિયા પર આતિશી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ પાછી ખેંચવાની અને માફી માગવાની માગ કરી છે.