October 12, 2024

ઓમર અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવાનો કર્યો દાવો, LG મનોજ સિંહાને મળ્યા

Omar Abdullah: નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા (Omar Abdullah) શુક્રવારે સાંજે રાજભવન ખાતે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને મળ્યા હતા અને જમ્મુ અને કાશ્મીરમાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તેમણે નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, CPI(M) અને અપક્ષ ઉમેદવારોના સમર્થનના પત્રો આપ્યા. ઓમર અબ્દુલ્લાએ લેફ્ટનન્ટ ગવર્નરને શપથગ્રહણની તારીખ નક્કી કરવા વિનંતી કરી જેથી ચૂંટાયેલી સરકાર તેનું કામ શરૂ કરી શકે.

જમ્મુ અને કાશ્મીરના બડગામ અને ગાંદરબલ વિધાનસભામાંથી ચૂંટાયેલા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે શપથ ગ્રહણ પ્રક્રિયામાં થોડો સમય લાગશે કારણ કે તે સત્તાના સામાન્ય ટ્રાન્સફરનો મામલો નથી. તેમણે કહ્યું, “જમ્મુ અને કાશ્મીર હવે કેન્દ્રશાસિત પ્રદેશ છે, જેનો અર્થ છે કે અહીં કેન્દ્રીય શાસન લાગુ છે. લેફ્ટનન્ટ ગવર્નરે દસ્તાવેજો તૈયાર કરીને પહેલા રાષ્ટ્રપતિ ભવન મોકલવાના રહેશે. ત્યાંથી આ દસ્તાવેજો ગૃહ મંત્રાલયમાં જશે અને પછી ગૃહ મંત્રાલયની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને પરત મોકલવામાં આવશે. અમને કહેવામાં આવ્યું છે કે તે લગભગ બે થી ત્રણ દિવસ લાગશે.”

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં 2018 પછી પહેલીવાર ચૂંટાયેલી સરકારની રચના થશે. ભાજપે તત્કાલિન મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની સરકારને સમર્થન પાછું ખેંચી લીધા બાદ 2018માં રાજ્યપાલ શાસન લાદવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આર્ટિકલ 370 નાબૂદ કર્યા પછી અને પ્રદેશમાં સીટોની પુન: સોંપણી પછી આ પ્રથમ ચૂંટાયેલી સરકાર હશે.

નોંધનીય છે કે, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને વિધાનસભા ચૂંટણીમાં 48 સીટો પર જીત મળી છે. ભાજપે 29 બેઠકો જીતી હતી, જેમાં 28 હિન્દુ અને એક શીખ સભ્યો ચૂંટાયા હતા, જ્યારે તેમના તમામ મુસ્લિમ ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો હતો. જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી 10 વર્ષ પછી 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ ત્રણ તબક્કામાં યોજાઈ હતી.