October 2, 2024

ગાંધી જયંતિ પર PM મોદીએ હાથમાં ઝાડુ પકડીને લોકોને ભણાવ્યો સ્વચ્છતાનો પાઠ

Delhi: આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 155મી જન્મજયંતિ છે. આ અવસર પર પીએમ નરેન્દ્ર મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધીથી લઈને કેન્દ્રીય મંત્રીઓ અને દિગ્ગજ રાજનેતાઓએ બાપુને યાદ કર્યા હતા. અનેક દિગ્ગજોએ રાજઘાટ પહોંચીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સિવાય પીએમ મોદીએ દિલ્હીમાં આયોજિત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે હાથમાં ઝાડુ પકડીને લોકોને સ્વચ્છતાનો પાઠ ભણાવ્યો હતો. પીએમએ લોકોને સ્વચ્છ ભારતની ભાવનાને વધુ મજબૂત કરવા આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તસવીરો શેર કરી છે. તેમણે કહ્યું કે આપ સૌને આજે તમારી આસપાસ સ્વચ્છતા સંબંધિત અભિયાનનો ભાગ બનવા વિનંતી છે. તેમણે સ્વચ્છ ભારત અભિયાનને દેશમાં સારી સ્વચ્છતા સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટેનો એક મહત્વપૂર્ણ સામૂહિક પ્રયાસ ગણાવ્યો અને તેને સફળ બનાવવામાં યોગદાન આપનારાઓને સલામ કર્યા.

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ‘આજે ગાંધી જયંતિ પર મારા યુવા મિત્રો સાથે સ્વચ્છતા અભિયાનનો ભાગ બનો. હું તમને બધાને વિનંતી કરું છું કે તમે આજે તમારી આસપાસ સ્વચ્છતા સંબંધિત અભિયાનનો ભાગ બનો. તમારી આ પહેલથી ‘સ્વચ્છ ભારત’ની ભાવના વધુ મજબૂત થશે.

જેપી નડ્ડાએ પણ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો
કેન્દ્રીય મંત્રી અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ બુધવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા આપવામાં આવેલ સ્વચ્છતાના આહ્વાનને છેલ્લા એક દાયકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘જન આંદોલન’માં ફેરવવામાં આવ્યું છે. નડ્ડા સાથે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને સાંસદ બંસુરી સ્વરાજ સહિત દિલ્હી એકમના નેતાઓએ પણ લોધી કોલોનીમાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો.

તેમણે કહ્યું કે ભાજપનું ‘સેવા પખવાડા’ 17 સપ્ટેમ્બરે શરૂ થયું હતું અને આજે ગાંધી જયંતિ પર સ્વચ્છતા અભિયાન સાથે સમાપ્ત થશે. તેમણે કહ્યું, ‘મોદીએ વડાપ્રધાન બન્યા પછી સ્વચ્છતા અપનાવી અને તે એક જન આંદોલન બની ગયું. આપણે જાણીએ છીએ કે સ્વચ્છતાનો આહ્વાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપ્યો હતો. પરંતુ વડાપ્રધાન મોદીએ તેને જન આંદોલનમાં ફેરવી દીધું છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના સુરનકોટથી BJPના ઉમેદવાર સૈયદ મુશ્તાક બુખારીનું નિધન

‘સ્વચ્છતા એક દિવસની વાત નથી’
નડ્ડાએ જણાવ્યું હતું કે, વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા અને ગંદકીથી બચવા તેમજ સમાજને સ્વચ્છતા તરફ પ્રોત્સાહિત કરવા લોકોમાં જાગૃતિ લાવવા મોદીના નેતૃત્વમાં આ જનઆંદોલન છેલ્લા 10 વર્ષથી ચાલુ છે. તેમણે કહ્યું કે સ્વચ્છતા એ એક દિવસની બાબત નથી અને તે આખા વર્ષ દરમિયાન દરરોજ જાળવવી જોઈએ.

નડ્ડાએ દેશના લોકોને અને પાર્ટીના કાર્યકરોને જ્યારે પણ શક્ય હોય ત્યારે પ્રચારમાં જોડાવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ દર વર્ષે ‘સેવા પખવાડા’ ઉજવે છે અને ગાંધી જયંતિ પર લોકોને સ્વચ્છતા અભિયાનમાં જોડે છે.